વડોદરાઃ શહેરની ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય યુવતીએ ભેદી સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. નાઇટ ડ્યુટી પરથી ઘરે આવેલી યુવતીએ ગુરુવારે વાઘોડિયા રોડ પર પોતાના મકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે પતિ ઘરે આવતાં પત્નીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાણીગેટ પોલીસે આ આપઘાત કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ અમદાવાદના અને વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા તીર્થ બંગલોમાં રહેતા રોનક ત્રિવેદી કર્મકાંડ કરે છે. તેમના 31 વર્ષનાં પત્ની આરતી ત્રિવેદી ગોત્રી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. તેમને 10 વર્ષના લગ્નજીવનમાં 8 વર્ષનો પુત્ર છે. ગત 16મીએ તેઓ ડાકોર માતા-પિતાને ત્યાં ગયાં હતાં. જ્યાં પુત્રને મૂકી વડોદરા આવ્યાં હતાં.

ગુરુવારે આરતીબેન હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરી સવારે ઘરે આવ્યાં હતાં. જ્યારે પતિ રોનક કામ અર્થે બહાર ગયા હતા. આરતીબેને કોઈ કારણસર મકાનમાં ફાંસો ખાધો હતો. સાંજે રોનકભાઈએ ઘરે આવી મકાનનો દરવાજો ખોલકતા આરતીબેન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. બનાવની જાણ થતાં ફ્લેટમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. સાથે આ અંગે પોલીસને જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

પોલીસ યુવતીએ કેમ આપઘાત કર્યો તે દિશામાં તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી યુવતીની કોઈ સૂસાઇડ નોટ મળી આવી નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.