દાહોદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં હજુ પણ કેટલાક જિલ્લા કોરોનામુક્ત થાય તેવી આશા જાગી છે. ત્યારે આજે દાહોદમાં વધુ ચાર કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. ઝાયડ્સ હોસ્પિટલથી આ દર્દીઓને રજા આપવામાં આવી છે.


હોસ્પિટલના ડોક્ટર-સ્ટાફે તાળીઓ વગાડીને દર્દીઓને રજા આપી હતી. જિલ્લામાં કુલ 34 પૈકી 32 દર્દી રિકવર થઈ ગયા છે. દાહોદમાં હાલ 2 દર્દી એક્ટિવ છે. નવી પોલીસી મુજબ દર્દીઓને રજા આપવામાં હતી. ત્યારે હવે આ દાહોદ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ સિવાય પણ ગુજરાતમાં અમરેલી, આણંદ, અરવલ્લી, ભરુચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, નર્મદા, પંચમહાલ અને પોરબંદર જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 10થી ઓછા છે.



ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 790 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી સુરતમાં 26 અને વડોદરામાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં હવે એક્ટિવ કેસ માત્ર 3922 જ રહ્યા છે. જ્યારે તેની સામે કુલ 7708 લોકો સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીમાં 864 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 861 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17217 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1063 થયો છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 62.61 ટકા થઈ ગયો છે.