ગોધરાઃ સાપ્તાહિક અખબારના તંત્રી સાથે ગોધરામાં લિવ-ઈન રિલેશનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બામરોલી રોડના નિત્યમ શાળાની પાછળ આવેલા મકાનમાં સોનલબેને આપઘાત કરી લીધો છે. પતિના અવાર નવાર માનસિક ત્રાસને કારણે મહિલાએ આપઘાત કર્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. એ ડિવિઝન પોલીસે  મહિલાનો મૃતદેહ ગોધરા સિવિલ હો. માં પેનલ પી એમ કરાવી મરણ જનારના પતિ ભરત પ્રણામી સામે ફરિયાદ નોંધી FSLની મદદ લઇ તપાસ હાથ ધરી છે. 


ગોધરામાં સાપ્તાહિક અખબારના તંત્રી ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ સોનલબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. તેમજ આ પછી સોનલબેન ફૂલહાર કરી લેતા પત્ની તરીકે રહેતી હતી. દોઢેક વર્ષથી બંને બામરોલી રોડ નિત્યમ સ્કૂલની પાછળ સોનલબેને વેચાતા લીધેલા મકાનમાં રહેતાં હતાં. જોકે, ભરતભાઈ સોનલબેનને મકાન આપી દેવાનું અને તેમને બીજા લગ્ન કરવા છે તેમ કહી પરેશાન કરતાં હતા. આથી સોનલબેને સૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધી છે. 


સોનલબેને લખેલી સૂસાઇડ નોમાં 5થી 7 લોકોનાં નામોનો ઉલ્લેખ છે. આ સૂસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં પતિ અને અન્ય વ્યક્તિઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભરતને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોવાનું તેની પત્નીનાં પરિવારજનોએ જણાવ્યું હતું.