વડોદરા: શહેરની એમ એસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આ વખતે એમ એસ યુનિવર્સિટીના હોસ્ટેલના નામે કથિત વિડીયો વાયરલ થયો છે. કેટલાક યુવકો ચિકન દારૂની પાર્ટી કરતા હોય તેવો કથિત વિડીયો વાયરલ થયો છે. સંગીતના ડબિંગ સાથે બે અલગ અલગ લોકેશનથી રેકોર્ડ કરેલ વિડીયો સામે આવ્યા છે. એક લોકેશન પર કામ ચલાઉ ચૂલા પર ચિકન રાંધવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે બીજા લોકેશનના વિડીયોમાં દારૂ ભરેલો ગ્લાસ જોવા મળે છે.


એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કેટલાક વિધાર્થીઓ દ્વારા બહારના યુવકોને બોલાવીને પાર્ટી કરવામાં આવી હોવાની ચર્ચા છે. વાયરલ વિડીયો કેટલાક વિધાર્થીઓ દ્વારા વોર્ડનને પહોંચાડવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. હોસ્ટેલ મેનેજમેન્ટ અને સિક્યુરિટી ગાર્ડની ભૂમિકા સવાલોના દાયરામાં આવી છે. આ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતુ નથી. 


વિદ્યા સહાયકોની ભરતીને લઈને મોટી સમાચાર


વિદ્યાસહાયકોની ભરતીને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.


૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. ૧૧મી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ ૧થી ૫માં ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮માં ૧૬૦૦ એમ કુલ મળીને ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ધોરણ ૧ થી ૫માં ૧,૦૦૦, ગણિત-વિજ્ઞાન વિષય માટે ૭૫૦, અન્ય ભાષાના વિષયો માટે ૨૫૦ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.


કેન્દ્ર સરકારના પેન્શનરોને મળી ભેટ! 


તહેવારોની સીઝન છે ત્યારે મોદી સરકારે 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી હતી, 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપી હતી. જે પછી 3 ઓક્ટોબર, 2022ના રોજ ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાના આદેશ અંગે એક સૂચના બહાર પાડી છે. હવે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DOPPW) એ માહિતી આપી છે કે મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે.


8 ઓક્ટોબર, 2022 ના રોજ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે એક ઑફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું અને ટ્વીટ દ્વારા જણાવ્યું કે રાષ્ટ્રપતિને આ નિર્ણય લેતા આનંદ થાય છે કે કેન્દ્ર સરકારના પેન્શનરો/પરિવાર પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર) આપવામાં આવશે. જુલાઈ 1, 2022, તે 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે.


વર્ષમાં બે વાર માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે છે. પેન્શનર્સ પોર્ટલ અનુસાર, જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી ભથ્થું પાછલા વર્ષના ડિસેમ્બર મહિનાના મોંઘવારી રાહતના દરના આધારે નક્કી કરવામાં આવે છે. એ જ રીતે, જુલાઈ-ઓગસ્ટમાં નક્કી થનારી મોંઘવારી રાહત જૂન મહિનામાં આપવામાં આવતી મોંઘવારી રાહતના દરના આધારે નક્કી કરવામાં આવે છે.