વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી કર્યો વાણી વિલાસ. મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે પ્રશાસનને ધમકાવવાનું હોય પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા જ હોય છે.


વડોદરાના સયાજીપુરામાં કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મધુ શ્રીવાસ્તવે બેફામ વાણી વિલાસ કરતા કહ્યું કે કલેકટર અને પોલીસ પ્રશાસનને હું ગજવામાં રાખું છું. એટલું જ નહીં તેમણે તો ત્યાં સુધી કહ્યું કે તેમનો કોલર પકડવાની કોઈની તાકાત નથી.

તો આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદનને વખોડ્યું છે. ધારાસભ્યના નિવેદનને અયોગ્ય ગણાવતા નીતિન પટેલે કહ્યું કે, પોલીસ પ્રશાસન કે કલેક્ટરને ખિસ્સામાં રાખવાની વાત કોઈ ન કરી શકે.

તો આ તરફ મધુ શ્રીવાસ્તવના નિવેદન પર કૉંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આજ રાજ્યના શહેરોમાં ગુંડાઓનું રાજ છે. મધુ શ્રીવાસ્તવના આવા બેફામ નિવેદન છતા ભાજપના નેતાઓ મૌન રહે છે અને આવા નિવેદનોથી અધિકારીઓનું મનોબળ તૂટતું હોય છે.