ઉપરવાસના વરસાદ વડોદરા માટે આફત બની શકે છે. વડોદરામાં પ્રતાપપુરા અને આજવા સરોવરની ઉપરવાસના વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટીથી ખૂબ નજીક છે. ત્યારે વિશ્વામિત્રીનું પાણી ધીમે ધીમે કાંઠાના ગામોમાં ઘૂસી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, બે મગર અહીંયા આવ્યા છે જે કૂતરાને ખેંચીને લઈ ગયા છે.


સયાજીગંજના પરશુરામ ભટ્ટા અને સુભાષનગરના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વિશ્વામિત્રી નદીમાંથી અહીંયા 2 મગર આવ્યા છે જે કૂતરાને ખેંચીને લઈ ગયા છે. ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી વડોદરા માટે આફત બની રહ્યું છે.

વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તાર એટલે કે સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા અને સુભાષનગરમાં પાણી ઘુસ્યા છે. અંદાજીત 100થી વધુ મકાનમાં પાણી ઘૂસતા લોકો ઘરવખરી લઈ નીકળી રહ્યા છે. સયાજીગંજની શાળામાં તમામને આશરો અપાઈ રહ્યો છે. જો વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધશે તો શહેરીજનો માટે મુસીબત વધી શકે.

હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસવાના શરૂ થયા છે તો પાણીની સતત આવકના કારણે આજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા માટે વિશ્વામિત્રિ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. જેને લઈને નદી કાંઠાના લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી 25.25 ફૂટ પર પહોંચી છે જ્યારે ભયજનક સપાટી 26 ફૂટ છે. ત્યારે આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સપાટીમાં વધારો થઈ રહ્યો છે.