વડોદરા: રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના સાવલીના વસંતપૂરા ગામમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. ભોપાલમાં મોકલેલા મૃત કાગડાના બર્ડ ફ્લુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફ્લૂનો ત્રીજો કેસ વડોદરાના સાવલીમાં સામે આવ્યો છે.​​​ ​​વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડાનાં ટપોટપ મૃત્યુ થયાં બાદ 5 સેમ્પલ ભોપાલ ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં 3 કાગડા રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યા છે.

પશુ ચિકિત્સા અધિકારી ડો સંજય ગોસ્વામીએ કહ્યું, મૃત કાગડામાં બર્ડ ફ્લૂની H5N8 રેન્જ મળી આવી છે. બર્ડ ફ્લૂની H5N8 રેન્જ માણસમાં ફેલાઈ શકે છે. વસંતપૂરા ગામના 10 કિલોમીટરમાં આવેલા 10 ગામોમાં સર્વે કર્યો છે. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા કર્મચારીઓને ફાર્મની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

વડોદરા શહેરમાં આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં 3 મોર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આમ જિલ્લામાં પક્ષીઓના થઈ રહેલા મોત બાદ લોકોમાં ડરનો માહોલ છે. રાજ્યમાં ફરી એક વખત બર્ડફ્લૂની દહેશત ફેલાય છે.

ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં 100 જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 100થી વધુ મરઘા મોતને ભેટ્યાછે.