દાહોદઃ અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે 19 વર્ષીય યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ગત 22મી ડિસેમ્બરે હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી હતી. યુવકની હત્યા કરી લાશ સળગાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં યુવકના ત્રણ કિશોર મિત્રોએ જ હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. વ્યાજે આપેલી રૂપિયા મુદ્દે યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ૉ


દાહોદના નાના ડબગરવાડના 19 વર્ષીય જગદીશ દેવડાએ દાહોદ જ 17 વર્ષીય કિશોરને છેલ્લા આઠ મહિનામાં 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતાં. વ્યાજ સાથે એક લાખ રૂપિયા થઇ ગયા હોવાનું કહી જગદીશ ઉઘરાણી કરતો હતો. આ ઉઘરાણીના રૂપિયા ન આપવા પડે તે માટે 17 વર્ષીય કિશોરે જગદીશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કિશોરે તેના 14 અને 15 વર્ષના બે મિત્રોને સાથે લીધા હતાં. કાવતરા પ્રમાણે અઠવાડિયા પહેલા જ કિશોરે હાઇવેના ડિવાઇડર વચ્ચે નાની તલવાર સંતાડીને મૂકી દીધી હતી. આ પછી ગત 22મીએ રાત્રે જગદીશને કિશોરે વ્યાજના 2 હજાર આપવા ઇન્દોર રોડ સ્થિત પોલીસ ચોકી નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો.

જગદીશ આવતા હાઈવે પર સોનુ દાટ્યાનું જણાવી કિશોરે હથોડી લઈ આવવાનું કહ્યું હતું. આથી જગદીશ તે પ્રમાણે રાતે 10 વાગ્યે પોલીસ ચોકી પાસે આવતાં તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ આ પછી તેઓ ચા પીવા ગયા હતા. દરમિયાન કિશોરના અન્ય બે મિત્રો પણ આવી ગયા હતા. આ સમયે 17 વર્ષીય કિશોરે લઘુશંકાનું બહાનું કાઢી નાની સારસી પાસે રોકાયા હતા. તેમજ ડિવાઇડર પાસે સોનુ દાટ્યું હોવાનું જણાવ્યું હતું.

અહીં તકનો લાભ લઈ જગદીશની હથોડીથી જ તેના માથામાં ઘા મારી દીધા હતા. તેમજ નાની તલવારથી જગદીશનું ગળું કાપી નાંખ્યું હતું. આ પછી જગદીશની લાશને પેટ્રોલ છાંટી કાંડી ચાંપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કિશોરે ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા જગદીશ પાસેથી કટકે કટકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, પૈસા પરત ન આપી શકતા જગદીશની હત્યા કરી હતી. 'સાવધાન ઇન્ડિયા' પરથી આઇડિયા લઈને જગદીશની હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ કિશોરે જગદીશનું પર્સ કાઢી લીધું હતું. તેમાંથી દોઢસો રૂપિયા નીકળ્યા હતાં. આ પૈસાથી જ હોટલ બાલાજી નજીકથી પાણીની ચાર બોટલ ખરીદી લોહીવાળા હાથ અને મોઢું ધોઇ નાખ્યુ હતું. આ પછી માચીસ ખરીદ્યું હતું અને 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદી ઘટના સ્થળે જઇ જગદીશના મૃતદેહને આગ ચાંપી દીધી હતી.