Vadodara News: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન થયું છે.  મંજુલા સુબ્રમણયમે 1 જાન્યુઆરી 2023ના રોજ વડોદરા ખાતે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી આઇએએસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે.  મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના આઇએએસ અધિકારી હતા. 2008માં નિવૃત્ત થયા બાદ અનેક પદો ઉપર તેમણે ફરજ બજાવી હતી.


પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી શું કહ્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમના નિધન પર ટ્વિટ કરી લખ્યું, ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધનથી દુઃખી. નીતિ સંબંધિત મુદ્દાઓ મામલે તેમની સમજણ અને કાર્યલક્ષી અભિગમને કારણે તેઓને ચારેતરફ માન મળ્યું છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ.






મંજુલા સુબ્રમણ્યમનો ચીફ સેક્રેટરી તરીકેનો કેટલો હતો કાર્યકાળ


ડો. મંજુલા સુબ્રમણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર, 2002 થી 30 સપ્ટેમ્બર, 2008 સુધીનો રહ્યો હતો. જો કે તેઓ રિટાયર્ટમેન્ટ બાદ તેઓની સ્વચ્છ છબીને જોતા સરકારે તેમને વિજિલન્સ કમિશ્નર બનાવ્યા હતા. તેઓ નિવૃતી બાદ પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહ્યા હતા. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓનું યોગદાન ખુબ જ મહત્વનું હતું. આ ઉપરાંત તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપનીમાં પણ તેઓ ડાયરેક્ટર રહ્યા હતા. તેઓએ આ પદ પરથી પોતાના સ્વાસ્થયની સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું હતું.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કર્યું ટ્વિટ


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.