Guajrat Election Update : ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, મારા બદલે મારી પત્ની ચૂંટણી લડશે. મધુ શ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાથી ધારાસભ્ય છે. મધુ શ્રીવાસ્તવના પત્નીનું નામ સવિતાબેન છે. તેઓ બે વખત તાલુકા પ્રમુખ અને બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા છે.


વાઘોડિયા બેઠક પર ભાજપમાં જ રસાકસી


પરષોત્તમ રૂપાલાએ 4 દિવસ અગાઉ સાંકરદા ગામ ખાતે ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં વાઘોડિયા બેઠક માટે પારુલ યુનિવર્સિટીના ચેર પર્સન પારુલ પટેલની ફાઇલ મંગાવવામાં આવી હતી, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પારુલ પટેલ દ્વારા પોતાની પ્રોફાઈલ જિલ્લા કાર્યાલય ખાતે મોકલાઈ છે. પારુલ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ સ્વ.ડો.જયેશ પટેલના પુત્રી છે. અગાઉ પરસોત્તમ રૂપાલાએ પારુલ યુનિ.બે કાર્યક્રમો માં હાજરી આપી હતી. આ સિવાય હર્ષ સંઘવીએ ભાજપના પૂર્વ નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે બાયોડેટા મંગાવ્યો છે. પરસોત્તમ રૂપાલાએ પારુલ પટેલની ભલામણ કરી હોવાના અહેવાલ છે. હર્ષ સંઘવીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભલામણ કરી હોવાના અહેવાલ છે. ગત ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષ ના ધર્મેન્દ્રસિંહ વાઘેલા 10 હજાર વોટથી હાર્યા હતા.


AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કઈ બેઠક પરથી લડશે ચૂંટણી ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી 12 લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 151થી વધારે ઉમેદવારો જાહેર કરાયા છે. આજે કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાના નામની જાહેરાત કરી છે.


કેજરીવાલે કર્યુ ટ્વિટ


કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.


કોણ છે ગોપાલ ઈટાલિયા



  • ગોપાલ ઈટાલિયા ભાવનગરના ટીંબી ગામના વતની છે.

  • પોલિટિકલ સાયન્સમાં B.A, LLB સુધીનો અભ્યાસ કર્યો છે.

  • 2012માં અમદાવાદ સિટી પોલીસમાં પોલીસકર્મી તરીકે જોડાયા હતા.

  • પોલીસકર્મી તરીકે રાજીનામું આપીને લોકોને કાયદાકીય રીતે મદદરૂપ થવાનું કામ શરૂ કર્યું.

  • 2020માં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

  • જે બાદ ઈટાલિયાએ  ગુજરાતમાં આપને મજૂબૂત કરવાનું કામ સંભાળ્યું.

  • કેજરીવાલે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી ગોપાલ ઈટાલિયાને સોંપી.

  • સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી વધારે સીટો જીતીને વિપક્ષમાં બેઠી.


દહેગામથી AAP ના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાના સ્થાને કોણ લડશે ચૂંટણી ?થોડા દિવસ પહેલા નામ થયું હતું જાહેર


આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાતત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.


આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.