ગોધરાઃ ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી. કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય એવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે.


તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા શંકર સિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવવાની તરફેણ કરી હતી. દારૂના વ્યસનને કારણે કેટલાય પરિવારો ઉજળી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. સરકાર બહેનોના ચૂડી-ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટીબદ્ધ છે.

નોંધનીય છે કે, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર દારૂબંધી હટાવી લેવાની તરફેણ કરી છે. થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવેલા વાઘેલાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું અને હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. રાજ્ય સરકારે લોકોને શાંતિથી ઘરે બેસીને દારૂ પીવા દેવો જોઈએ.

વાઘેલાએ કહ્યું કે, નવસારીઓ અને ગુણવત્તા વિહીન દારૂ પીવાથી અનેક પરિવારના મોભીના મોત થયા છે ત્યારે દારૂબંધી હચાવી લેવી જરૂરી છે. વાઘેલાએ સરકાર લોકોની વાત નહીં માને તો તેની સાન ઠેકાણે લાવવા માટે નવી સરકારને તક આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દમણ સેલવાસ અને દીવ ન જઈને ગુજરાતમાં પોતાના ઘરે શાંતિથી બેસીને દારૂ પીવાય તેવું વાતાવરણ બને તે જરૂરી છે. આ પહેલાં પણ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની માગણી કરી હતી.

વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી અંગે બોલતાં જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના નામે હવે બહુ થયું. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ. ગુજરાતમાં કરોડોનો દારૂ પીવાતો અને પકડાતો હોય ત્યારે ખામીયુક્ત દારૂબંધીનો કાયદો સરકાર માટે ભ્રષ્ટાચારનો રસ્તો બની ગયો છે. રાજ્યમાં કેમિકલયુક્ત નવસારીયો દારૂ પીવાથી લોકોનાં મોત થાય છે. ઘણા યુવાનો દારૂ પીવા માટે દમણ, સેલવાસ, આબુ સહિતના અન્ય સ્થળોએ જાય છે. તેના બદલે અહીંયાં જ આરામથી પીવા મળે એવી સ્થિતી સર્જવી જોઈએ.

વાઘેલાએ આગામી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જણાવ્યું હતું કે તેમનો પ્રજાશક્તિ મોરચો તમામ ચૂંટણી લડશે અને મતદારો માટે ત્રીજો વિકલ્પ બનીને ઉભરી આવશે. તેમણે અન્ય રાજકીય પક્ષોથી ત્રસ્ત બનેલા આગેવાનો, ઉમેદવારોને પોતાના મોરચા સાથે જોડાવા આહ્વાન કર્યું હતું.