વડોદરા: રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સંચાલિત વડોદરા સહિતના દવાખાનાઓમાં પશુઓની દવા, ઇન્જેક્શન અને મશીનરીમાં ગોટાળા સામે આવ્યા છે. વડોદરાના પશુચિકિત્સાલયમાં પશુઓની સારવાર, દવાઓ, ઇન્જેકશનોની ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે. નિશીત બ્રહ્મભટ્ટ નામના એક્ટિવિસ્ટે માંગેલી આર.ટી.આઈમાં ખુલાસો થયો છે. 


પશુઓની દવાઓ અને ઇન્જેકશનોમાં 48 માસની એક્સપાયરીની જગ્યાએ  15, 17, 18 માસની એક્સપાયરી ડેટ આવી રહી છે, દવાઓની માંગ સામે 50 ટકા જ દવાઓ પહોંચી રહી છે. 2021ની દવાઓના રજીસ્ટરમાં ચેકચાક કરી 2023ની એક્સપાયરી કર્યાનો પણ ખુલાસો થયો છે. એકાઉન્ટ ઓડિટ જનરલના ઓડિટમાં સમગ્ર વિગતો બહાર આવી હતી. 


પશુઓની યોગ્ય રીતે સારવાર ન થતી હોવા મામલે  સાંસદ મેનકા ગાંધીએ પણ તપાસની માંગ કરી હતી. પશુચિકિત્સક ડો. જયંતિ પ્રજાપતિ સામે શહેરમાં આવેલા સર્કસના પક્ષીઓના ચેકીંગ કર્યા વગર ફિટનેસ સર્ટીફીકેટ આપી દેતા તેમની સામે ખાતાકીય તપાસ અને કાર્યવાહી થઈ હતી. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા એક્ટિવિસ્ટે  માંગ કરી હતી. વર્ષે દહાડે દવાઓ, ઇન્જેકશનો અને મશીનરી ખરીદીમાં લાખોનો ભ્રષ્ટચાર થઈ રહ્યો હોવાના આક્ષેપોની પણ તપાસ જરૂરી બની ગઈ છે.


ગુજરાતની અનેક હોસ્પિટલોમાં અચાનક આયુષ્યમાન કાર્ડ બંધ કરવામાં આવતા ખળભળાટ


ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સુવિધા મળી રહેવા તે હેતુથી  પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અપાયા છે. જોકે રાજ્યભરની હોસ્પિટલોમાં લોકોને સુવિધાઓ અપાયા બાદ હોસ્પિટલોને 300 કરોડથી વધુ નાણાં ઈન્સ્યુરન્સ કંપનીઓએ ન ચુકાવતા વડોદરાની 20 સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલોમા આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી વહેલી તકે નાણાં ચૂકવવા રજુઆત કરાઈ છે. બાકી નાણાં ચૂકવાયા બાદ જ હોસ્પિટલોમાં ફરીથી આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ કાર્યરત કરાશે.


વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ છે. રાજ્યભરની અનેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડને સેવાઓ બંધ થતા અનેક સવાલો ઉઠ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ 300 કરોડથી વધુ નાણાં ન ચુકાવતા હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં વડોદરાની 300 હોસ્પિટલો સામેલ હતી. 


વડોદરા આઈ.એમ.એ પ્રેસિડેન્ટ મિતેષ શાહે નિવેદન આપતા કહ્યું કે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની સ્કીમ હતી. આયુષ્યમાન 5, 6 અને 7 જેમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે ગવર્નમેન્ટનું ટાયઅપ થયેલું હતું. ગુજરાત આઈ.એમ.એ તરફથી સ્ટેપ લેવાયું હતું. દરેક હોસ્પિટલોને ગૂગલ ફોર્મ મોકલવામાં આવેલું જેમાં કેટલા નાણાં બાકી છે જેમાં 300 કરોડથી વધુ નાણાં બાકી હોવાનો ખુલાસો થયો હતો.