વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે જાહેરાત થવાની છે, ત્યારે રાજ્યના બે-બે મંત્રીઓને લોકોના રોષનો ભોગ બનવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના લોધિકામાં મંત્રી કુંવરજી બાવળિયા પછી મંત્રી યોગેશ પટેલનો લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. વડોદરામાં રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો.




આજે મકરપુરામાં અતિથિગૃહનું ભૂમિપૂજન કરવા યોગેશ પટેલ પહોંચ્યા હતા. યોગેશ પટેલ સાથે ભાજપના સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો પણ હાજર હતા. લોકોએ મંત્રી અને કોર્પોરેટરોને સંભળાવ્યું કે, તમે ફોટો પડાવવા માટે ખાલી આવ છો. મકરપુરા વિસ્તારમાં આજદિન સુધી કોઈ વિકાસ નથી થયો. ભૂમિપૂજન કાર્યક્રમ પૂરો કરી મંત્રી જતા હતા તે સમયે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.



નોંધનીય છે કે, લોધિકા તાલુકાના પારડી ગામે મહિલાઓએ મંત્રી બાવળીયાને ઉધડો લીધો હતો. મહિલાઓએ પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મહિલાઓ ક્યારે પાણી મળશે, કામ ક્યારે પૂરું થશે, તેવા સવાલો પૂછ્યા હતા. મંત્રી બાવળિયાએ મહિલાઓને ખાતરી આપી હતી કે છ મહિનામાં કામ પૃરું થઈ જશે.

પાણીની સમસ્યાથી તંગ મહિલાઓએ મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાઓએ મંત્રીજીને તીખા સવાલ કરતા મંત્રીએ થોડીવારમાં ચાલતી પકડી હતી. પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યાઓ છે. રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના પારડી ઞામની આંતરીક પીવાના પાણી 2 કરોડની યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રી બાવળીયાએ મહિલાઓને જલ સે નલ યોજના સમજાવી હતી. મહિલાઓએ કહ્યું ક્યારે કામ પૃરુ કરશો એમ કહો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિત આ સમયે ઉપસ્થિત હતા.