વડોદરા: વડોદરાના વિદ્યાબેન નાયકે માત્ર ૧.૬ કિલોગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યા. તે બાળકની મોત મુખમાંથી કેવી રીતે બચી અને તેમને આ નવજીવન આપવવામાં કોણે કોણે મહત્વની ભુમિકા ભજવી તંગે આજે વાત કરીએ.


2007નું વર્ષ નાયક પરિવાર માટે બહુ કપરૂ રહ્યું. ઠાકોરભાઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલ વિદ્યાબેને દીકરીના અવતરણને નાયક પરિવારે વધાવી તો લીધું પણ, બાળકીને તુરંત બાળકોના આઇસીયુમાં ખસેડવી પડી હતી. તબીબી પરિક્ષણ થતાં માલૂમ પડ્યું કે, બાળકીને હ્રદયમાં એક વેઇન જ નથી.  જે બાદ બાળકીના પિતા સુરેશભાઇ નાયક અને પરિવારે હોસ્પિટલ બદલી. કારેલીબાગમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બાળકી અને તેની માતાને દાખલ કર્યા. નાયક પરિવાર ઉપર આફત આવી પડી. બાળકી કુદરત સાથે સંઘર્ષ કરી રહી હતી. આવા જ સંજોગોમાં જ બાળકીનું નામ રાખવામાં આવ્યું વિદિશા. 


વિદ્યાબેન, સુરેશભાઇ બાળકીની સારવાર માટે મોટો અંતરાય હતો આર્થિક સ્થિતિ. હવે વિદિશાની સ્થિતિની વાત તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે પહોંચી. જે બાદ તેમણે વિદિશાની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિશેષ કિસ્સામાં સારવાર કરાવવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી. આરોગ્ય વિભાગ દ્વારા વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવાનો નિર્ણય થતાંની સાથે જ તેને અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં વિદિશાની સારવાર શરૂ થઇ. તજજ્ઞ તબીબો દ્વારા વિદિશાના હ્રદયનું પરિક્ષણ કરવામાં આવ્યું. પણ, માત્ર કેટલાક માસની બાળકીના હ્રદયની સારવાર ત્યાં થઇ શકે એમ નહોતી.


વિદિશાની સ્થિતિ અંગેની વિગતો ફરી મુખ્યમંત્રીએ જાણ કરવામાં આવી. ત્યાર બાદ તેની વધુ સારવાર માટે  બેંગ્લુરુની નારાયણ હ્રદયાલયમાં ખસેડવામાં આવી. તેઓ નાની એવી વિદિશાની લઇ પહોંચ્યા નારાયણ હ્રદયાલય. આ હોસ્પિટલના ચેરમેન ડો. દેવીપ્રસાદ શેટ્ટી દેશના જાણિતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમના દ્વારા વિદિશાની સારવાર શરૂ કરવામાં આવી. આ સારવારનો ખર્ચ ગુજરાત સરકારે વહન કર્યો હતો.


બેંગ્લુરુ ખાતે વિદિશાની લગભગ છ માસ સુધી સારવાર ચાલી. આ છ માસ દરમિયાન એક સોથી વધુ નિષ્ણાંત તબીબોની સલાહ લેવામાં આવી. ૩૦૦થી વધુ વખત ઇકો કાર્ડિઓગ્રામ કરવામાં આવ્યા. વિવિધ પરિક્ષણો કરવામાં આવ્યા. એક દિવસે વિદિશાનું ઓપરેશન કરવામાં આવ્યું. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. શરીરમાંથી હ્રદયને બહાર કાઢવામાં આવ્યું. તેના ઉપર શસ્ત્રક્રિયાઓ કરી સામાન્ય કરવામાં આવ્યું. ઓપરેશન બાદના કેટલાક દિવસો પછી વિદિશા ચેતનવંતી બની. એટલે નાયક દંપતીને રાહત થઇ.  આ વાતને આજે ૧૮ વર્ષના વહાણા વીતી ગયા. વિદિશા આજે તંદુરસ્ત છે. ધોરણ – ૧૦માં અભ્યાસ કરે છે