વડોદરાઃ ગુજરાતમાં આજે કોરોનાના વધુ 127 કેસો સામે આવ્યા છે. આજે આ 127 કેસો ગુજરાતના 8 જિલ્લામાંથી સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 69 કેસો નોંધાયા છે. આ પછી અમદાવાદમાં 50 કેસો સામે આવ્યા છે. જોકે, ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ કેસો ધરાવતા વડોદરામાં આજે એક પણ કેસ નોંધાયો નથી. આજે સુરત અને અમદાવાદને બાદ કરતાં અન્ય જિલ્લાઓમાં પણ એક-એક કેસ જ નોંધાયો છે. જેમાં અરવલ્લી, ગીર સોમનાથ, ખેડા, રાજકોટ, તાપી અને વલસાડ જિલ્લામાં એક-એક કેસો સામે આવ્યા છે.


ગુજરાતના સૌથી વધુ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં 1298 કેસ અને 43 મોત, વડોદરા 188 કેસ અને 7 મોત, સુરતમાં 338 કેસ અને 10ના મોત, રાજકોટમાં 40 કેસ, ભાવનગરમાં 32 કેસ અને પાંચ મોત, આણંદમાં 28 કેસ અને બે મોત અને ભરુચ 23 કેસ અને એક મોત છે.

આ ઉપરાંત ગુજરાતમાં આજે કોરોનાથી વધુ છ દર્દીઓના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 5 અને ભાવનગરમાં એક દર્દીનું મોત થયું છે. આ તમામ દર્દીઓની ઉંમર 50 કે તેથી વધુ સામે આવી છે. તેમજ બે દર્દીઓને અન્ય બીમારી હતી. જોકે, ત્રણ દર્દીઓને બીજી કોઈ બીમારી હતી નહીં. આ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 43 મોત થયા છે.