વડોદરા: 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની લોકો મજા માણી રહ્યાં હતાં ત્યારે વડોદરાના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતા 16 વર્ષના કરણ રાઠોડનું ટેરેસ ઉપરથી પટકાતા મોત નીપજ્યું હતું. કરણ ટેરેસમાં પતંગ ચગાવવામાં મશગુલ હતો તે દરમિયાન અચાનક તે પટકાતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં.


વડોદરાના ખોડીયાર નગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસ આવેલ છે. મુખ્યમંત્રી આવાસના બસંધીર હાઈટ્સમાં બી-706માં રહેતો કરણ પોપીન્સકુમાર રાઠોડ ટાવરના લોકો સાથે પતંગ ચગાવતો હતો. તે દરમિયાન અચાનક નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. કરણ નીચે પટકાતા જ પિતા સહિત ટાવરના લોકો નીચે દોડી આવ્યા હતાં અને તાત્કાલિક તેને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

જોકે, તબીબોએ સારવાર કરતાં પહેલાં જ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બનતા બંસીધર હાઇટ્સમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અને ઉત્તરાયણનો પર્વ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.