Vadodara : રામદેવપીરના પાટોત્સવમાંથી પરત ફરતા પરિવારની કારીને નડ્યો અકસ્માત, પૂર્વ સરપંચના પુત્રનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2021 12:25 PM (IST)
ધનોરાના અરવિંદભાઈ ગોહિલ, રણજીતસિંહ દોલતસિંહ પરમાર તેમના પત્ની ભાવનાબેન રણજીતસિંહ પરમાર, યુવરાજસિંહ ભરતસિંહ પઢિયાર, એક બાળક સાથે રામદેવપીરના પાટોત્સવમાં ગયા હતા.
વડોદરાઃ કરજણના સંભોઈથી ધનોરા જઈ રહેલી કારને બુધવારે વહેલી સવારે અંપાડ પાસે સામેથી આવી રહેલા ટ્રેલરે કારને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કરજણના સંભોઈ ગામે રામદેવપીરના પાટોત્સવમાંથી પરત ફરી રહેલા ધનોરાના પરિવારને અકસ્માત નડ્યો હતો. ધનોરાના અરવિંદભાઈ ગોહિલ, રણજીતસિંહ દોલતસિંહ પરમાર તેમના પત્ની ભાવનાબેન રણજીતસિંહ પરમાર, યુવરાજસિંહ ભરતસિંહ પઢિયાર, એક બાળક સાથે રામદેવપીરના પાટોત્સવમાં ગયા હતા. કાર્યક્રમ પતાવી વહેલી સવારે તેઓ ધનોરાજવા નીકળ્યા હતા. દરમિયાન અંપાડ પાસે રોડ પર સામેથી પુરઝડપે આવી રહેલ ટ્રેલરે કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાર હંકારી રહેલા રણજીતસિંહ પરમાર તથા અરવિંદસિંહ ગોહિલને ઇજાઓ પહોંચી હતી. જ્યારે 20 વર્ષના યુવરાજસિંહ પઢીયારને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના લોકો તથા ધનોરાના સરપંચ સહિતના લોકો સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવરાજસિંહ પઢીયાર કરજણના ખાંધા ગામના રહેવાસી હતા. તે વડોદરાની જીએસેફસી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. તેના પિતા ભરતસિંહ પઢીયાર ખાંધા ગામના માજી સરપંચ છે.