Vadodara News: વરસાદ બાદ વડોદરા શહેરમાં રોગચાળાની સ્થિતિ છે. અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગની ઝપેટમાં આવ્યા છે. જેને લઈ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. લાંબી લાઈનોમાં ઉભેલા દર્દીઓની હાલત કફોડી બની છે. એસએસજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તાવ, ઝાડા ઉલટી, ટાઈફોડ, કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતની બીમારીમાં લોકો સપડાયા છે. જેને લઈ કોર્પોરેશનના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળો વકર્યો છે. ઉપરાંત વરસાદી ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.


વડોદરાની સાથે રાજકોટમાં પણ રોગચાળાએ માજા મુકી છે. વરસાદ સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સતત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ડેન્ગ્યુના 2, મેલેરિયા ના 1 કેસ સાથે તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના 459 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે શહેરના એક લાખથી વધુ ઘરમાં મચ્છરના પોરાનાશક કામગીરી કરી છે. રોગચાળો વધી જવાને કારણે હોસ્પિટલોમાં દૈનિક ઓપીડી ડબલ થઇ ગઇ છે. ભેજ અને મચ્છર ઉત્પતિ સમાન વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.




વર્તમાન સ્થિતિમાં રોગચાળાથી બચવા લોકો ઉકાળેલું પાણી પીવે તેવી આરોગ્ય વિભાગે અપીલ કરી છે. રાજકોટમાં ગત સપ્તાહ જેટલા મનપા દ્વારા રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જોકે સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી છે. સરકારી આંકડા કરતા અનેક ગણો વધારે રોગચાળો જોવા મળ્યો છે.




હાલમાં જ પડેલા વરસાદને કારણે રાજકોટ-ભાવનગર હાઈવે પરના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. અનરાધાર વરસાદના કારણે પાડાસણ અને ઉમરાળી ગામ પાણીમાં અડધા ડૂબી ગયા હતા. ગામની શેરીમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા પહેલા માળે જતા રહ્યા હતા. ખારચિયા ગામની બજારોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જસદણ પંથકમાં વરસાદના કારણે જસાપર ગામમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ,વીરનગર,જસાપર,નવાગામ અને જીવાપર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  જીવાપર પાસેનો કણૂકી ડેમ ઓરફ્લો થયો છે.  રસ્તા પર નદીની જેમ પાણી વહેતી થતા એક ઈકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ત્રાંબાથી વડાલી તરફના રસ્તા પર નદીના પાણી વહેતા અંદાજે 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial