વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે ગઈ કાલે અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાણી-પીણીની બજારો અને દુકાનો બંધ રાખવાનો અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો છે. જોકે, અગાઉ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે અમદાવાદની જેમ વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર ચિંતિત બન્યું છે.


અમદાવાદની જેમ વડોદરામાં પણ સમયમર્યાદા નક્કી થઈ શકે છે. વડોદરાના મેયર ડો. જિગીષાબેન શેઠે આ અંગે નિવેદન આપ્યું હતું. રાત્રિના સમયે વેપાર અંગે પ્રતિબંધ લાદવાનો નિર્ણય વિચારણા હેઠળ હોવાનું તેમણે જણાવ્યું હતું. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાશે તો વડોદરામાં તંત્ર પણ નિર્ણય લેશે, તેમ તેમણે જણાવ્યું હતું. રાત્રિના 10 વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં દુકાન બજાર બંધ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.