Vadodara News:  રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. આ દરમિયાન વડોદરામાં 24 કલાકમાં હાર્ટ એટેકથી બે યુવાનોના મોત થયા હતો. દેણા ગામે ક્રિકેટ રમતા રમતા યુવક ઢળી પડયો હતો, જ્યારે નોકરી જવા માટે તૈયાર થયેલા રેલવે કર્મચારીને એટેક આવતા મોત થયું હતું.


શહેર નજીકના દેણા ગામે ક્રિકેટ રમતા રમતા 36  વર્ષના  યુવકની તબિયત બગડતા તે ગ્રાઉન્ડ પર જ સૂઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. હાર્ટ એટેકના કારણે જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રેલવેના યુવાન કર્મચારીને પણ એટેક આવતા મોત થયું હતું.


મૂળ મહારાષ્ટ્રના લાતુર ગામના નારાયણ નગરનો 36 વર્ષનો સમ્યક હનુમંતરાવ ગાયકવાડ હાલ છાણી કેનાલ રોડ પર એલેમ્બિક વેદામાં રહે છે. નંદેસરી વિસ્તારની એક ખાનગી કંપનીમાં તે આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગત તા.29 મી તારીખે રાત્રે 10 વાગ્યે પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્રો સાથે દેણા ગામે  ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. તે ક્રિકેટ રમતા હતો ત્યારે અચાનક તેની  તબિયત બગડતા તે  જમીન પર સૂઈ ગયા હતા. તેની સાથે ક્રિકેટ રમતા તેના મિત્રો દોડી આવ્યા હતા. તેઓ સમ્યકને સમા સાવલી રોડની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.


નોકરી જવા માટે તૈયાર થયેલા રેલવે કર્મચારીને એટેક આવતા મોત


જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર વૈકુંઠધામ સોસાયટીમાં રહેતો 37વર્ષનો વિશાલ જનકભાઇ ભટ્ટ રેલવે કંટ્રોલ રૂમમાં ચિફ ટ્રેન ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેના પત્ની હાઉસ વાઇફ છે અને બે સંતાનો છે. સવારે તે નોકરી જવા માટે તૈયાર થઇને ઘરેથી નીકળવાની તૈયારીમાં હતો. તે દરમિયાન અચાનક તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેને રેલવે હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.  


વડોદરામાં બિઝનેસ ટુર પર આવેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત


થોડા દિવસ પહેલા વડોદરામાં બિઝનેસ ટુર પર આવેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રાજકોટથી વડોદરા ખાતે યુવાન આવ્યો હતો. ધરમસિંહ પટેડિયાનું હાર્ટ એટેક થી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજકોટના નાના મવા મેઈન રોડ સ્થિત સત્યમ એપાર્ટમેન્ટ રહેતો હતો. ગત સોમવારે છાતીમાં દુખાવો થતા એસીડીટી સમજી દવા કરી ન હતી, મંગળવારે છાતીમાં દુખતા એસ.એસ.જી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.