વડોદરાઃ વડોદરાના સમા વિસ્તારમાં બનેલી એક જ પરિવારના 6 લોકોના આપઘાતના કેસમાં હવે પરિવારની એક જ વ્યક્તિ બચી છે. આ ઘટનામાં સારવાર દરમિયાન ભાવિન સોનીનું મોત થતાં આપઘાતનો પ્રયાસ કરનારાં 6 લોકોમાંથી 5 મૃત્યુ પામી ચૂક્યાં છે. હને ભાવિનના ધર્મપત્ની જ જીવિત છે. ભાવિનનાં ધર્મપત્નિ ઉર્વશીબેન એસ.એસ.જી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે.


આ પરિવારના મોભી નરેન્દ્ર સોનીનાં પત્ની દીપ્તિબેન સોનીનું શનિવારે મોત થયું હતું. સોની પરિવારના 6 સભ્યો પૈકી 3નાં મોત તરત જ થયાં હતા જ્યારે પુત્ર ભાવિન સોની, પત્ની દીપ્તિબેન સોની અને પુત્રવધૂ ઉર્વશી સારવાર હેઠળ હતા. આ પૈકી દીપ્તિબેન સોની ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતાં પણ શનિવારે તેમનું મોત થતાં સામૂહિક આપઘાતના પ્રયાસના મામલામાં ચોથું મોત થયું હતું. હવે ભાવિન સોનીના મોત સાથે પાંચ મોત થતાં માત્ર ઉર્વશીબેન બચ્યાં છે.

સોની પરિવારના 6 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો તે માટે આર્થિક સંકડામણ જવાબદાર હતી. આ પરિવાર પાસેથી અલગ અલગ 9 જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યા હોવાથી પોલીસ તમામ જ્યોતિષીઓ સામે ગુનો દાખલ કરાયો છે. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જ્યોતિષીઓએ 32 લાખ પડાવ્યાનો આક્ષેપ મૂકતાં પોલીસે આ જ્યોતિષીઓ સામે તપાસ શરૂ કરી છે.