વડોદરાઃ સોખડા મંદિરમાં ફરજ પર હાજર પોલીસ જવાનને ચકકર આવતા પડી ગયો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસના જવાન વિપુલ પારઘી પડી ગયા હતા. હાઈબીપીની બીમારી હોવાથી શરીર અશક્ત બન્યું હતું. ત્રણ દિવસથી સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. સતત કામના ભારણથી પોલીસ જવાન સ્ટ્રેસમાં હતા. પોલીસ જવાનને ભક્તોએ ખુરશી પર બેસાડ્યા હતા અને પાણી પીવડાવ્યું હતું. 


નોંધનીય છે કે, હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો અક્ષરવાસ થતાં તેમનો દિવ્ય દેહ અંતિમ દર્શન માટે સોખડા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. ત્યારે આજે  સોખડા મંદિરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ મંદિરે પહોંચ્યા હતા. વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ મંદિરે પહોંચ્યા હતા. હરી પ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. 

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને લીધે તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવતુ હતુ. ત્યારે સોમવારે સાંજે સ્વામીજીને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમની તબિયત લથડા તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે મોડી રાત્રે 11 વાગ્યે સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો.


સ્વામીજીના નિધનથી હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તોમાં શોકનો માહોલ છે. યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઈએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજે 26 જુલાઈએ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બિરાજી ગયા છે.


સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિવસ ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.