ભાજપમાંથી વધુ એક સિનિયર નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. સુનિલ સોલંકીએ કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાણી શકાયું નથી. પરંતુ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું કહેવું છે કે સુનિલ સોલંકી ખૂબ સિનિયર નેતા છે.તેમની સાથે સંગઠનમાં ઘણું કામ કર્યું છે. સાથે જ તેઓ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે. સુનિલ સોલંકીએ  અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જેથી તેનો સ્વીકાર કરી લેવાયો છે. જો કે તે ભાજપના કાર્યકર તરીકે કાર્યરત રહેશે.




સુનિલ સોલંકી સયાજીગંજ ખાતેની ભાજપ ઓફિસ પહોંચ્યા હતા અને ભાજપ શહેર પ્રમુખ ડો વિજય શાહ સાથે બેઠક કરી હતી. સુનિલ સોલંકીએ કહ્યું હતું કે મેં અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ વાત કરી હતી તે બાદ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે સુનિલ સોલંકી ભાજપ કાર્યકર્તા તરીકે કાર્યરત રહેશે અને ભાજપ સાથે સંકળાયેલા રહેશે.




નોંધનીય છે કે આજે આ અગાઉ પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. પ્રદિપસિંહ વાઘેલા વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરાઇ નથી. ભાજપના કાર્યાલય પર પ્રતિબંધની વાત પાયાવિહોણી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પોતાની ઈચ્છાથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી તરીકે અમને કોઈ ફરિયાદ મળી નથી. 


ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મહામંત્રી પદથી રાજીનામું આપી દીધુ છે. વાઘેલાએ આ રાજીનામું થોડા દિવસ અગાઉ પક્ષને સોંપ્યુ હોવાનું પણ હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે. જો કે વાઘેલા પાસેથી રાજીનામું લેવાયું હોવાની અને તેમને કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા પ્રાથમિક રીતે પાયાવિહોણી છે. પ્રદિપસિંહે રાજીનામું અંગતકારણોસર આપ્યું હોવાનું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે.