વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલીયેર ગામમાં રોજના થઈ રહેલા ઝઘડાથી કંટાળીને પત્નીએ જ પતિની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે ડેસર પોલીસે આ મામલે પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલીયેર ગામમાં રહેતા રાજેન્દ્ર સોલંકીને રોજ તેમની પત્ની સાથે ઝઘડા થતાં હતા. બપોરના સમયે પતિએ ઘરે આવીને રોજની જેમ પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને પત્નીને કહ્યું હતું કે, આજે તો તને વેચી જ નાખીશ. પત્નીએ પતિને કહ્યું હતું કે, તું મારી સાથે રોજેરોજ ઝગડો કરે છે તો આજે તને હું પતાવી દેવાની છું.

ઘરના બીજા માળે રહેતા રાજેન્દ્ર ઝઘડો કરીને બપોરે ઊંઘી ગયો હતો. રોજ થઈ રહેલા ઝઘડાથી કંટાળેલી પત્નીએ ઊંઘી રહેલા પતિને કુહાડીના ઘા માર્યાં હતા. જેથી નાની પુત્રીએ બુમાબુમ કરતા મકાનની નીચે રહેતા માતા અને નાનોભાઇ ઉપરના ભાગે દોડી આવ્યા હતા. જ્યારે ઉપર આવીને જોયું તો પુત્રને લોહીથી લથપથ જોતાં નાનાભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરીને બોલાવી હતી અને પોલીસને પણ જાણ કરી દીધી હતી.