જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી સુનામીમાં મરનારા લોકોની સંખ્યા વધીને 281 થઇ ગઇ છે. જ્યારે 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીએ મૃતકોની સંખ્યામાં વધારાની આશંકા વ્યક્ત કરી છે. ઇન્ડોનેશિયામાં શનિવારે મોડી રાત્રે જ્વાળામુખી વિસ્ફોટ બાદ સુનામી આવી હતી. સુનામીની કારણે કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ઇન્ડોનેશિયામાં ચાઇલ્ડ ઓફ ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ ભીષણ તબાહી મચી ગઇ હતી. સ્થાનિક સમયાનુસાર શનિવાર રાત્રે લગભગ સાડા નવ વાગ્યે દક્ષિણી સુમાત્રા અને પશ્વિમી જાવા પાસે સમુદ્રની ઉંચી લહેરો કિનારા પર તરફ આગળ વધી હતી. જેનાથી અનેક મકાનો નષ્ટ થયા હતા. વૈજ્ઞાનિકોના મતે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટવાના કારણે સમુદ્રની નીચે હલચલ થતાં સુનામી પાછળનું કારણ હોઇ શકે છે. ઇન્ટરનેશનલ સુનામી સૂચના કેન્દ્રએ કહ્યુ કે, જ્વાળામુખી ફાટવાથી સુનામી આવવી એ ઘટના દુર્લભ છે. સુનામી દરમિયાન 15થી 20 મીટર ઉંચી લહેરો જોવા મળી હતી.  સુનામીમાં સૌથી વધુ પ્રભાવિત જાવાના બાંતેન પ્રાન્તના પાંડેંગલાંગ વિસ્તાર રહ્યો છે. તે સિવાય દક્ષિણી સુમાત્રાના લામપંગ શહેરમાં પણ સેંકડો લોકોએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.