Nigeria: નાઈજીરીયાના ઝમફારામાં શનિવારે એક નદીમાં બોટ અકસ્માતમાં ઓછામાં ઓછા 64 લોકોના મોતની આશંકા છે. આ બોટ ખેડૂતોને તેમના ખેતરમાં મૂકવા જતી હતી, ત્યારે અચાનક તે પલટી ગઈ.


આ પહેલા પણ બની હતી દુર્ઘટના


આ અંગે વિગતે વાત કરીએ તો સ્થાનિક અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ નાઇજિરીયાના ઝમફારા રાજ્યમાં એક નદીમાં બોટ પલટી જતાં ઓછામાં ઓછા 64 લોકોના મોતની આશંકા છે.  શનિવારે સવારે ગુમ્મી શહેર પાસે 70 ખેડૂતોને તેમના ખેતરમાં મુકવા જઈ રહેલી લાકડાની બોટ અચાનક પલટી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી માટે રહેવાસીઓને બોલાવ્યા હતા અને ત્રણ કલાક પછી છ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ટીમનું નેતૃત્વ કરી રહેલ સ્થાનિક પ્રશાસક અમિનુ નુહુ ફલાલેએ જણાવ્યું હતું કે, આ બીજી વખત છે જ્યારે આ વિસ્તારમાં આવી ઘટના બની હોય. તેમણે કહ્યું કે ઈમરજન્સી ટીમો વધુ બચી ગયેલા લોકોની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ કરી રહી છે.


ગુનાહિત ટોળકીથી પીડિત છે આ વિસ્તાર


સ્થાનિક પરંપરાગત શાસકે જણાવ્યું હતું કે, 900 થી વધુ ખેડૂતો તેમના ખેતરો સુધી પહોંચવા માટે દરરોજ નદી ઓળંગવા પર આધાર રાખે છે, પરંતુ તેના માટે માત્ર બે જ બોટ ઉપલબ્ધ છે, જેના પરિણામે ઘણી વખત ભીડ થાય છે. ઝામફારા રાજ્ય, પહેલેથી જ ખનિજ સંસાધનો પર નિયંત્રણ મેળવવાની ગુનાહિત ટોળકીથી પીડિત છે, તે પણ ભારે વરસાદને કારણે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બે અઠવાડિયા પહેલા પૂરના કારણે 10,000 થી વધુ રહેવાસીઓ વિસ્થાપિત થયા હતા.


આ પહેલા આઠ મુસાફરોના મોત થયા હતા
નોંધનિય છે કે,ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં, નાઈજીરિયામાં એક બોટ પલટી જવાથી 8 મુસાફરોના મોત થયા હતા, ત્યારબાદ લગભગ 100 લોકો ગુમ થયા હતા, નાઈજર સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ઈબ્રાહિમ ઓડુના જણાવ્યા અનુસાર, મુસાફરોને નાઈજર રાજ્યના બોર્ગુ જિલ્લામાંથી બચાવી લેવામાં આવ્યા હતા. બોટને પડોશી કેબી રાજ્યના માર્કેટમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે તે નાઈજર નદીમાં પલટી ગઈ હતી.


આ પણ વાંચો...


લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ રહ્યા ડૉક્ટરો, વાતચીત ફરી નિષ્ફળ, મમતા બોલ્યાં - આ રીતે મારું અપમાન ન કરી શકો