Air India: ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મોતનો બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી છે. ઈઝરાયલ હાઈ એલર્ટ પર છે. આવી સ્થિતિને જોતા ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાએ ભારત અને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ વચ્ચેની ફ્લાઈટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.






એર ઈન્ડિયાએ 8મી ઓગસ્ટ સુધી સેવાઓ સ્થગિત કરી છે


એર ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેલ અવીવ માટે તાત્કાલિક અસરથી પ્રસ્તાવિત ઓપરેશનને રોકવાનો નિર્ણય લીધો છે. તેલ અવીવથી આવતી અને અહીંથી તેલ અવીવ જતી ઉડ્ડયન સેવાઓ હાલમાં 8 ઓગસ્ટ, 2024 સુધી બંધ છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'જે મુસાફરોએ આ સમયગાળા દરમિયાન તેમની ટિકિટ બુક કરાવી છે, જો તેઓ ફરીથી ટિકિટ બુક કરશે તો તેમને એક વખતનું ડિસ્કાઉન્ટ અને કેન્સલેશન ચાર્જમાંથી રાહત આપવામાં આવશે. અમારા મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વધુ માહિતી માટે તમે અમને 011-69329333 / 011-69329999 પર કૉલ કરી શકો છો.


ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે


ઉલ્લેખનીય છે કે બુધવારે ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. હમાસે આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. ઈરાને ઈઝરાયલને હુમલાની ધમકી પણ આપી હતી. જેના જવાબમાં ઈઝરાયલે પણ કહ્યું છે કે તે ઈરાનને જડબાતોડ જવાબ આપશે. ઇસ્માઇલ હાનિયાના મૃત્યુના એક દિવસ પહેલા લેબનોનના બેરૂતમાં ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડર માર્યો ગયો હતો. જેના પર હિઝબુલ્લાહે ઈઝરાયલને બદલો લેવાની ધમકી પણ આપી છે. હિઝબુલ્લાએ ઈઝરાયલ પર રોકેટ હુમલા પણ શરૂ કરી દીધા છે.


ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં પહેલાથી જ તણાવ વધી ગયો છે, પરંતુ હવે તાજા ઘટનાક્રમને કારણે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને એવી આશંકા છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે છે. અમેરિકાએ એ પણ જાહેરાત કરી છે કે જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો તે ઈઝરાયલને બચાવવા માટે શક્ય તમામ મદદ કરશે. આ જ કારણ છે કે એર ઈન્ડિયાએ સાવચેતીના પગલા રૂપે હાલમાં તેલ અવીવ માટે ફ્લાઈટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.