Israel :ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 40 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. લગભગ 65 લોકો ઘાયલ થયા છે. ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સી દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. મંગળવારે ઇઝરાયલે પેલેસ્ટિનિયન પ્રદેશના દક્ષિણમાં એક રહેણાંક વિસ્તાર પર હુમલો કર્યો હતો. ઈઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેણે આ વિસ્તારમાં હમાસના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું છે.






ઈઝરાયલની સેનાએ આ હુમલો ગાઝાના ખાન યુનિસ શહેરના અલ-મવાસી વિસ્તારમાં કર્યો હતો. આ એવો વિસ્તાર છે જેને ઇઝરાયલી સેનાએ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સેફ ઝોન જાહેર કર્યો હતો. હજારો પેલેસ્ટિનિયનોએ અહીં આશ્રય લીધો છે.


ચાર મિસાઇલોથી હુમલો


સ્થાનિકો અને ડોકટરોએ જણાવ્યું હતું કે ખાન યુનિસ નજીક અલ-મવાસીમાં એક કેમ્પને ચાર મિસાઇલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો. આ શિબિર વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓથી ભરેલી છે. ગાઝા સિવિલ ઇમરજન્સી સર્વિસ અનુસાર, 20 ટેન્ટમાં આગ લાગી હતી. ઇઝરાયલની મિસાઇલોએ નવ મીટર (30 ફૂટ) સુધી ઉંડા ખાડા પાડી દીધા છે. 65 ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.


ઈઝરાયલે કહ્યું- આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા


ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે તેણે ખાન યુનિસમાં માનવીય ક્ષેત્રની અંદર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર કાર્યરત હમાસના આતંકવાદીઓ પર હુમલો કર્યો. હમાસે ઈઝરાયલના આરોપોને નકારી કાઢ્યા હતા.


હમાસે કહ્યું- આ ખોટું છે


હમાસે એક નિવેદનમાં કહ્યું હતું કે "આ એક સ્પષ્ટ જૂઠ્ઠાણું છે. તેનો હેતુ આ ધિક્કારપાત્ર અપરાધોને ન્યાયી ઠેરવવાનો છે. અમે વારંવાર ઇનકાર કર્યો છે કે તેના કોઈપણ સભ્યો નાગરિકોમાં સામેલ નથી. અમે તેનો ઉપયોગ સૈન્ય ઉદ્દેશ્યો માટે કરતા નથી.


યુદ્ધમાં 40 હજારથી વધુ લોકોના મોત


7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો. જેમાં 1200 ઈઝરાયલી માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ગાઝા પર ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 40,900 થી વધુ પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે.


ઈઝરાયલી જાસૂસની કમાલ, હિઝબુલ્લાહના હુમલાની પહેલાથી હતી જાણ, અનેક હુમલાને કર્યો નિષ્ફળ