Israel Hamas War: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન ચરમપંથીઓ વચ્ચેનું યુદ્ધ હવે ઘાતક તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ઈઝરાયેલી સેનાએ અભૂતપૂર્વ રીતે ગાઝા પટ્ટી વિસ્તારની આસપાસ 3 લાખ રિઝર્વ સૈનિકો તૈનાત કર્યા છે. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ હુમલા માટે હમાસ સાથે હિસાબ પતાવશે. આ સાથે નેતન્યાહુએ ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન નાગરિકોને આ વિસ્તાર છોડી દેવા કહ્યું અન્યથા તેઓ હુમલાની ઝપેટમાં આવી જશે. 


ઇઝરાયેલ ડિફેન્સ ફૉર્સિસ (IDF) એ અગાઉ કહ્યું હતું કે ગાઝાના લોકો ઇજિપ્ત ક્રૉસિંગ દ્વારા ગાઝા છોડી શકે છે. ઈઝરાયેલ ડિફેન્સ ફૉર્સે હવે આ રસ્તો બંધ કરી દીધો છે. IDF એ કહ્યું છે કે ગાઝા ઇજિપ્ત ક્રૉસિંગ હવે બંધ છે.


'રફાહ સીમા હજુ પણ ખુલ્લી'
જોકે, કેટલાક મીડિયા અહેવાલો કહે છે કે, ગાઝાના લોકો રફાહ સરહદથી ઇજિપ્ત તરફ જઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, "લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે વિદેશી પત્રકારોને કહ્યું, "રફાહ સરહદ હજુ પણ ખુલ્લી છે, જે લોકો ગાઝા છોડવા માંગે છે, હું તેમને ત્યાંથી જવાની સલાહ આપીશ."


યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRA)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મોટા પાયે નાગરિકો વિસ્થાપિત થયા છે. યુએનઆરએ, માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (OCHA) ના આંકડાઓને ટાંકીને જણાવ્યું છે કે 24 કલાકમાં ગાઝામાંથી અંદાજે 1 લાખ 84 હજાર લોકો વિસ્થાપિત થયા છે. યુએનઆરએની માત્ર 84 શાળાઓમાં 1 લાખ 34 હજાર લોકો શરણાર્થી છે.


UNRAએ જણાવ્યું હતું કે કેટલીક શાળાઓમાં ભીડભાડ અને પીવાના પાણીની મર્યાદિત ઉપલબ્ધતા સાથે પરિસ્થિતિ મુશ્કેલ છે. તમામ 83 શાળાઓ DES (ઇમરજન્સી આશ્રયસ્થાનો) નથી, તેથી હવે શાળાઓમાં લોકોને રાખવા માટે જગ્યા નથી


પીએમ મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત


હમાસ દ્વારા હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે નેતન્યાહુએ ફોન કર્યો હતો અને આ દરમિયાન મેં તેમને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, "મને ફોન કરીને પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું." ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપોની સખત નિંદા કરે છે.


પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો


પીએમ મોદીએ અગાઉ 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પરના રોકેટ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે શનિવારે ટ્વીટર પર લખ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.