Bilawal Bhutto On G20 Summit: ભારત શ્રીનગરમાં 3જી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ આયોજનને દુનિયાભરના દેશોનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. જેના કારણે પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારતમાં યોજાનારી G-20ને લઈને પાકિસ્તાન કઈ હદે પરેશાન છે તેનો સૌથી મોટો પુરાવો તાજેતરમાં જ જોવા મળ્યો છે.


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી રવિવારથી શરૂ થનારી ત્રણ દિવસીય મુલાકાતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના મુઝફ્ફરાબાદ પહોંચ્યા છે. જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો કે, બિલાવલે દાવો કર્યો કે શ્રીનગરમાં જી-20 બેઠક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.


ભારત હાલમાં G20 પ્રેસિડેન્સીનું અધ્યક્ષ છે. દરમિયાન, ભારત 22 મે થી 24 મે સુધી સમિટનું આયોજન કરી રહ્યું છે. તેનું સ્થળ શ્રીનગર છે. બિલાવલ ભુટ્ટોએ પીઓકેના કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ભારત તેનું આયોજન કરીને તેની સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે.


ભારતને લઈ ઓક્યું ઝેર


બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે આ મહિનાના શરૂઆતના અઠવાડિયે જ ગોવા આવ્યા હતા. આ 12 વર્ષ બાદ પહેલીવાર એવુ બન્યું હતું કે, જ્યારે કોઈ પાકિસ્તાની રાજનેતા ભારતના પ્રવાસે આવ્યા હોય. તે દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરમાં ભારતની નીતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે અટકેલી મંત્રણા માટે ભારતને જવાબદાર ગણવામાં આવ્યું હતું. હવે શ્રીનગરમાં G20 બેઠક યોજવા બદલ ભારતને ઘમંડી કહી રહ્યાં છે. 
 
ભારતને જવાબ આપશે - બિલાવલ


SCO શિખર સમ્મેલનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, બિલાવલે કહ્યું હતું કે, જ્યાં સુધી અમારા ભારતીય સમકક્ષો સાથે કોઈપણ અર્થપૂર્ણ જોડાણનો સંબંધ છે, અમારી સ્થિતિ બદલાઈ નથી-તે યથાવત જ છે. જ્યાં સુધી ભારત 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા પગલાંને રદ ન કરવામાં આવે ત્યાં સુધી પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય રીતે જોડાણ પુન: સ્થાપિત કરવાની સ્થિતિમાં નથી.


બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો કે, શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવું એ ભારતનું ઘમંડ દર્શાવે છે. જ્યારે સમય આવશે, ત્યારે અમે એવો તો જવાબ આપીશું કે ભારત તેને હંમેશા યાદ રાખશે.


SCO Meeting: પાકિસ્તાનના વિદેશમંત્રીની ગુજરાતીઓને ખાસ ભેટ, કરી મોટી જાહેરાત


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. દરમિયાન, બિલાવલ ભુટ્ટો ઝરદારી ગુજરાતીઓને મોટી રાહત આપી છે. તેમણે આ બાબતને લઈને મોટી જાહેરાત પણ કરી છે. 


પાકિસ્તાને જાહેરાત કરી છે કે, તે સદ્ભાવનાના સંકેત તરીકે 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે.