Blood Test for Brain Cancer: બ્રેઇન કેન્સરનું ઝડપી અને સચોટ નિદાન હંમેશા એક પડકાર રહ્યું છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક એવી તકનીક વિકસાવી છે, જે માત્ર એક કલાકમાં જીવલેણ બ્રેઇન કેન્સરનું નિદાન કરી શકે છે. આ નવું ઉપકરણ, જે અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમના સંશોધકોએ વિકસાવ્યું છે, ખાસ કરીને ગ્લાયોબ્લાસ્ટોમા (Glioblastoma) નામના ખતરનાક બ્રેઇન કેન્સરનું ઝડપી અને ચોક્કસ નિદાન કરી શકે છે. ગ્લાયોબ્લાસ્ટોમા એક અત્યંત આક્રમક અને હાલ અસાધ્ય બ્રેઇન કેન્સર છે, જેમાં દર્દીની સરેરાશ 12થી 18 મહિના સુધી જ જીવિત રહેવાની સંભાવના હોય છે.


ગ્લાયોબ્લાસ્ટોમા શું છે?


ગ્લાયોબ્લાસ્ટોમા એક એવું કેન્સર છે, જે મગજની કોશિકાઓ પર હુમલો કરે છે અને ઝડપથી ફેલાય છે. તેની સારવારના મર્યાદિત વિકલ્પો હોવાને કારણે તેનું વહેલું નિદાન ખૂબ જરૂરી છે જેથી દર્દીનું આયુષ્ય વધારી શકાય.


આ ઉપકરણ કેવી રીતે કામ કરે છે?


આ ઓટોમેટેડ ઉપકરણ, જે એક "બાયોચિપ" સાથે વિકસાવવામાં આવ્યું છે, માત્ર 60 મિનિટમાં કેન્સરનું નિદાન કરી શકે છે. આ બાયોચિપનો મુખ્ય ભાગ વિશેષ તકનીકનો ઉપયોગ કરીને કેટલાક જૈવિક સંકેતકો (બાયોમાર્કર્સ)ની ઓળખ કરે છે, જેમ કે સક્રિય એપિડર્મલ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર્સ (EGFRs). આ EGFRs ગ્લાયોબ્લાસ્ટોમા અને અન્ય પ્રકારના કેન્સરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે અને કોશિકાઓ દ્વારા છોડવામાં આવતા સૂક્ષ્મ કણો (Extracellular Vesicles)માં હાજર હોય છે.


Hsueh Chia Chang, જે આ અભ્યાસના મુખ્ય લેખક અને નોટ્રે ડેમ યુનિવર્સિટીમાં રસાયણ અને બાયોમોલિક્યુલર ઇજનેરીના પ્રોફેસર છે, જણાવે છે, "અમારી તકનીક આ એક્સ્ટ્રાસેલ્યુલર વેસિકલ્સની વિશેષતાઓનો ઉપયોગ કરે છે."


મુખ્ય પડકારો અને ઉકેલો


સંશોધકોએ બે મુખ્ય પડકારોનો સામનો કર્યો: સક્રિય અને નિષ્ક્રિય EGFRs વચ્ચે તફાવત દર્શાવવો અને આ તકનીકને ચોક્કસ અને વિશ્વસનીય બનાવવી. તેમણે એક નાનું, સસ્તું ઇલેક્ટ્રોકાઇનેટિક સેન્સર વિકસાવીને આ પડકારોનો ઉકેલ લાવ્યો. આ સેન્સર રક્તના નમૂનાઓમાં સક્રિય EGFRsનું નિદાન કરે છે, જેનાથી વોલ્ટેજમાં ફેરફાર થાય છે અને કેન્સરની હાજરીનો સંકેત મળે છે.


ઉપકરણની વિશેષતાઓ


આ ઉપકરણની વિશેષતા એ છે કે તે સસ્તું અને પોર્ટેબલ છે. દરેક પરીક્ષણ માટે માત્ર 100 માઇક્રોલિટર રક્તની જરૂર પડે છે અને તેની સામગ્રીની કિંમત $2 (લગભગ 168 રૂપિયા) કરતાં પણ ઓછી છે. તેમાં ત્રણ મુખ્ય ભાગો હોય છે: એક ઓટોમેશન ઇન્ટરફેસ, પોર્ટેબલ પ્રોટોટાઇપ મશીન અને બાયોચિપ.


અન્ય રોગોમાં પણ ઉપયોગની આશા


જો કે આ તકનીક ખાસ કરીને ગ્લાયોબ્લાસ્ટોમા માટે વિકસાવવામાં આવી છે, સંશોધકોનું માનવું છે કે તેનો ઉપયોગ પેનક્રિયાટિક કેન્સર, હૃદય રોગ, ડિમેન્શિયા અને એપિલેપ્સી જેવા અન્ય રોગોનું નિદાન કરવા માટે પણ કરી શકાય છે. સંશોધકોને આશા છે કે આ નવી તકનીકથી કેન્સરનું વહેલું નિદાન થઈ શકશે, જેનાથી દર્દીઓનો જીવનદર સુધરી શકશે. આ ઉપકરણનું પરીક્ષણ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત ઓલિવિયા ન્યૂટન જોન કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર ફોર રિસર્ચ ઇન બ્રેઇન કેન્સર દ્વારા પૂરા પાડવામાં આવેલા રક્તના નમૂનાઓ પર કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ


વિશ્વનો અંત આવશે! પૃથ્વીની નજીક આવી રહ્યો છે એસ્ટરોઇડ, નાસાએ એલર્ટ જાહેર કર્યું