નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,04,222 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે મૃતકોની સંખ્યામાં 6,086નો વધારો થયો છે.


વર્લ્ડોમીટર મુજબ, 210 દેશોમાં અત્યાર સુધી 28 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 1.97 લાખ લોકોના મોત થયા છે. 7,98,331 લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે. દુનિયાભરના કુલ કેસમાંથી મોટાભાગના કેસ અમેરિકામાંથી સામે આવ્યા છે. સૌથી વધુ મોત પણ અમેરિકામાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 923,812 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 52,097 લોકોના મોત થયા છે. 110,400 લોકો સ્વસ્થ થયા છે.

આ દરમિયાન ચીનની એક કંપનીએ કોરોના વાયરસની રસી બનાવી છે અને તેના પરીક્ષણ માટે પાકિસ્તાનની મંજૂરી માંગી છે. જોકે પાકિસ્તાન સરકારે તેના પર હજુ સુધી કોઈ ફેંસલો લીધો નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, જો હાલના સમયે કોઈ જરૂરી સુરક્ષા ઉપાયોનો કડક અમલ નહીં કરવામાં આવે તો પાકિસ્તાનમાં 15 જુલાઈ સુધીમાં દર્દીની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે, ડબલ્યુએચોના પ્રમુખ ડો. ટ્રેડોસ એડહાનોમે કહ્યું કે પાકિસ્તાનમાં કોરોના 115 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે. જો તેને રોકવા તાત્કાલિક કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો મધ્ય જુલાઈ સુધીમાં સંક્રમિતોની સંખ્યા બે લાખ સુધી પહોંચવાની આશંકા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સહિત અનેક નેતા મે મહિનામાં કોરોના સંકટ ઘેરુ બનવાની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે.