નવી દિલ્હીઃ લંડનમાં કોરોના વાયરસના કારણે  50થી વધુ ભારતીય નાગરિકો ભારતીય હાઇકમિશનમાં ફસાયેલા છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. આ લોકોએ ભારત પાછા આવવાની માંગ કરી છે. કિંગ્સ્ટન યુનિવર્સિટી લંડનની એક વિદ્યાર્થીની ગાયત્રીએ કહ્યું કે, જ્યારે તે ભારત જવા માટે ગૈટવિક એરપોર્ટ પર પહોંચી તો તેને એન્ટ્રી આપવામાં આવી નહી અને કહેવામાં આવ્યું કે તે ભારતીય હાઇકમિશનનો પત્ર લઇને આવે. હાલમાં અનેક લોકો હાઇકમિશનમાં ફસાયેલા છે.અન્ય એક વિદ્યાર્થી હબીબ મુસ્તફાએ કહ્યુ કે, અમે ભારતીય હાઇકમિશનમાં છીએ અને અમને ભોજન પણ આપવામાં  આવ્યું છે. અમે તેની પ્રશંસા કરીએ છીએ. તમામ લોકો કોરોના વાયરસના પ્રકોપના  કારણે બહારના રેસ્ટોરન્ટમાં ખાવાથી  ડરી રહ્યા છે અને કોઇ જોખમ લેવા માંગતા નથી.

બીજી તરફ ભારતીય હાઇકમિશનના અધિકારીઓએ કહ્યું કે. 22 માર્ચના રોજ 60 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા જેમને ટ્રાવેલ એડવાઇઝરી અને કર્ફ્યૂ છતાં ભારત જવાનું કહેવામાં આવ્યું. પરિસ્થિતિઓને જોતા અધિકારીઓને તેમને સમજાવ્યા  અને અહી જ રહેવાની ભલામણ કરી હતી. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરી અનુસાર, ભારતીય પાસપોર્ટ હોલ્ડરને ભારત આવવા પર પ્રતિબંધ છે. આ 18 માર્ચથી લાગુ છે. યુરોપિયન સંઘના દેશો, યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિયેશનના દેશો, તુર્કી અને યુકેના નાગરિકોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.