નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી જાહેર કરાયેલા કોરોના વાયરસના કારણે લગભગ 120 દેશોમાં 5043 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 133,970 લોકો પ્રભાવિત થયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે અનેક દેશોમાં સ્કૂલ, કોલેજ, ઓફિસ અને સ્ટેડિયમ બંધ થઇ રહ્યા છે. ચીન બાદ કોરોના વાયરસની સૌથી વધુ અસર ઇરાનમાં થઇ છે. કોરોના વાયરસના  કારણે  ઇટાલીમાં 1016, ઈરાનમાં 429, સ્પેન 84, સાઉથ કોરિયા 67 લોકોના મોત થયા છે.


ઇરાન સરકારે કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે આર્મીને આદેશ આપ્યો છે કે તે આગામી 24 કલાકમાં દેશભરના તમામ રસ્તાઓ ખાલી કરાવે. સૈન્ય પ્રમુખ મેજર જનરલ મોહમ્મદ બગેરીએ ટીવી પર પ્રસારિત એક નિવેદનમાં કહ્યું કે, નવગઠિત આયોગે દુકાનો, રસ્તાઓ ખાલી કરાવવાની જવાબદારી સોંપી છે. આ નિર્ણયને 24 કલાકમાં દેશમાં લાગુ કરવાનો છે.

બીજી તરફ ઇરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ જરીફે અમેરિકામાં ટ્રમ્પ સરકારને દેશ પર લાગેલા પ્રતિબંધો તત્કાળ હટાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે પ્રતિબંધોના કારણે તેમના માટે દવાઓ અને મેડિકલ ઉપકરણોની આયાત કરવું મુશ્કેલ થઇ રહ્યું છે.