ટોક્યોઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં વિકરાળ રૂપ ધારણ કરી ચુક્યો છે. 10 લાખથી વધારે લોકો આ મહામારીમાં સપડાઈ ચુક્યા છે અને હવે જાપાનમાં પણ તેની અસર વધી રહી છે.  કોરોના વાયરસના વધતા મામલાને લઈ જાપાન ઈમરજન્સીની જાહેરાત કરી શકે છે. પ્રધાનમમંત્રી શિંજો આબે મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરશે.


સમાચાર એજન્સી રોયટર્સે જાપાની બ્રોડકાસ્ટ TBSના હવાલાથી લખ્યું છે કે, લોકો ઘરમાં જ રહે તે માટે જાપાન સરકાર દેશમાં 6 મહિના માટે ઈમરજન્સી લગાવવાનું વિચારી રહી છે. જાપાનમાં ટોક્યો, ઓસાકા સહિત અન્ય વિસ્તારોમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

જોપ હોપકિંસ યુનિવર્સિટીના આંકડા મુજબ, જાપાનમાં સોમવારે સવાર સુધીમાં 3000થી વધારે મામલા સામે આવ્યા છે. જ્યારે 85 લોકોના મોત થયા છે. મોટાભાગના મામલા અહીં છેલ્લા ત્રણ દિવસમાં જ નોંધાયા છે. આ સ્થિતિમાં સરકારને મહામારી ફેલાવાનો ડર છે.

દુનિયાના જે દેશોમાં લોકડાઉન વિલંબથી લાગુ કરવામાં આવ્યું છે ત્યાં કોરોનાની અસર જોવા મળી છે. તેથી દરેક જગ્યાએ લોકોને ઘરથી બહાર ન નીકળવાનું કહેવામાં આવે છે.