લાહોરઃ હાલ દેશમાં કોરોના સામે લડી રહ્યો છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના મરકઝમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડથી આવેલા લોકો પણ સામેલ હતા. 22 માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીં 2 હજાર લોકો રોકાયેલા હતા. તેમાંથી 300 લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી આશંકા છે. શંકાસ્પદ લોકોને તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ઉધરસ અને કફની ફરિયાદ છે. ભારત બાદ પાકિસ્તાનમાં આ સમુદાયમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે.


પાકિસ્તાનના લાહોરમાં થોડા દિવસો પહેલા સરકારની મંજૂરી વગર 5 દિવસનો ધાર્મિક કાર્યક્રમ થયો હતો. જેમાં આસરે 1200 લોકો લાહોરના રાયવિંદમાં એકત્ર થયા હતા. રવિવારે જ્યારે અહીંયા તપાસ કરવામાં આવી ત્યારે 35માંથી 27 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. લાહોરમાં એકઠા થયેલા લોકોમાંથી આશરે 500 લોકો વિદેથી હતા. જેઓ ચાર મહિનાથી પ્રચાર કરવા અહીં આવ્યા હતા.

આ લોકોને વિદેશ મંત્રાલય દ્વારા દેશ છોડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. જે નાગરિકો શંકાસ્પદ જણાયા હતા તેમને સરકારે કોરોન્ટાઈનમાં રાખ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ, કોરોન્ટાઈમાં રાખવામાં આવેલા લોકો પૈકી એક ભાગી ગયો હતો અને તેણે પોલીસકર્મી પર ચપ્પુ વડે પ્રહાર કર્યો હતો.

પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1500થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 20 લોકોએ જીવ ગુમાવ્યો છે.