શ્વાસ લેવાથી અને બોલવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસઃ અમેરિકાના વૈજ્ઞાનિકનો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Apr 2020 10:05 AM (IST)
હાલ વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકો આ સંક્રમણના ભરડામાં આવી ગયા છે, જ્યારે 82 હજારથી વધારે લોકોના મોત થયા છે.
કેલિફોર્નિયાઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશ-દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને લઈ અનેક પ્રકારની સ્ટડીઝ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના સામાન્ય લક્ષણોમાં શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં ખારાશ જેવી સમસ્યા છે. આ લક્ષણો ઉપરાંત શ્વાસ લેવા અને બોલવાથી કોરોના વાયરસ ફેલાઇ શકે છે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે આ દાવો કર્યો છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં ઈન્ફેકશસ ડિઝીસના પ્રમુખ અંથોની ફૉસીએ અમેરિકાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું, તાજેતરમાં મળેલી સૂચનાઓના આધારે એ વાત સામે આવી છે કે આ વાયરસ વાત કરવાથી પણ ફેલાય છે. તેથી બીમાર લોકો ઉપરાંત આમ આદમીએ પણ માસ્ક પહેરવા જોઈએ. આ પહેલા નેશનલ એકેડેમી ઓફ સાયન્સે પણ વ્હાઇટ હાઉસને પત્ર લખીને આ રિસર્ચ અંગે જણાવ્યું હતું. એનએએસનું કહેવું હતું કે, આ શોધના પરિણામો અંગે કંઈ કહી શકાય નહીં. પરંતુ તાજેતરના સંશોધન મુજબ શ્વાસ લેવાથી આ વાયરસનું એરોસોલાઇઝેશન થઈ શકે છે, એટલે કે હવાથી પણ ફેલાઇ શકે છે. આ પહેલા અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું હતુ કે, કોરોના વાયરસ બીમાર લોકોની છીંક અને ઉધરસથી નીકળતી લાળથી પણ ફેલાય છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે SARS-CoV-2 વાયરસ એરોસોલ બની શકે છે અને હવામાં ત્રણ કલાક સુધી રહી શકે છે. હાલ વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકો આ સંક્રમણના ભરડામાં આવી ગયા છે, જ્યારે 82 હજારથી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 4700ને પાર કરી ગઈ છે.