નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી હાલ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે.દુનિયામાં અત્યાર સુધીમાં 213 દેશો કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમણના આંકડા પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 41 લાખથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 99 હજારને પાર પહોંચી છે. સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં 84 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દુનિયાભરમાં હાલ પણ 51 લાખ એક્ટિવ કેસ છે અને તેની સારવાર ચાલી રહી છે.


કોવિડ-19ના લક્ષણ દર્દીમાં અલગ અલગ જોવા મળે છે. શરદી, તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત તેમાં અન્ય એક લક્ષણ પણ જોવા મળી રહ્યું છે. લંડનની કિંગ્સ કોલેજ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં કોરોનાનું આ નવું લક્ષણ સામે આવ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, લંડનની કિંગ્સ કોલેજમાં થયેલી નવી શોધ પ્રમાણે અનેક લોકોમાં કોવિડ-19ના પ્રારંભિક લક્ષણ ચામડી પર જોવા મળ્યા હતા. જે લોકોમાં સંક્રમણના અન્ય લક્ષણો નહોતા તેમની ચામડી પર ચકામા જોવા મળ્યા હતા. જો કોઈ વ્યક્તિની ચામડી પર ચકામા જોવા મળે તેની સારવાર થવી જરૂરી છે.

રિસર્ચ પ્રમાણે, કોવિડ-19ના લક્ષણ તરીકે સ્કીન રેશિસ (ચામડી પર ચકામા)ની સૂચના આપનારા ત્રણ પ્રકારના હતા. શિળસઃ જે અચાનક આવે છે, લાલ રંગની હોય છે અને ત્વચા પર સોજો જોવા મળે છે પરંતુ થોડા સમયમાં જતી રહે છે. બીજું-ઉનાળામાં થતી ફોલ્લીઃ જે ઘણીવાર અછબડા જેવી જોવા મળે છે. ઉનાળામાં ગરમીના કારણે શરીર પર જોવા મળતી ફોલ્લીને પણ કોરોના વાયરસના લક્ષણ તરીકે જોવામાં આવી હોવાનું રિસર્ચમાં જણાવાયું છે. ત્રીજું કોવિડ ટોઝઃ આ પ્રકારના લક્ષણમાં હાથ અને પગની આંગળીમાં સોજો તથા દર્દ અનુભવાય છે.

કોરોના વાયરસના લક્ષણો સામાન્ય વાયરલ ઈન્ફેક્શનની જેમ છે પરંતુ તેમ છતાં આ લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ. કોઈ વાયરલ સંક્રમણ ત્વચાને પણ પ્રભાવિત કરી શકે છે, આ કારણે કોવિડ-19થી ત્વચા પર થઈ રહેલા ચકામાથી આશ્ચર્ય નથી થતું. અનેક લોકોમાં કોરોનાના લક્ષણ સામાન્ય રીતે ચામડી પર પહેલા જોવા મળ્યા હતા, તેથી જો ચામડી પર આવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.