કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે. જેમાં અમેરિકા, ઈટલી, સ્પેન અને ફ્રાંસમાં સૌથી વધુ એસર જોવા મળી રહી છે. ત્યારે ઈટલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યામાં સતત વધો થઈ રહ્યો છે. હવે વડા પ્રધાન ગૂઈસેપ કોન્ટેએ લોકડાઉન 12 એપ્રિલ સુધી લંબાવી દીધું છે. ઈટલીમાં કોરોનોના કારણે અત્યાર સુધી 11,591 લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે, હવે કોરોનાનો ચેપ દર ધીમે ધીમે ઘટતો જોવા મળી રહ્યો છે. સોમવારે વડા પ્રધાને કહ્યું હતું કે, પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ત્રણ અઠવાડિયા સુધી ચાલતું બંધ આર્થિક રીતે ખૂબ મુશ્કેલ હતું.




વડાપ્રધાન કોન્ટેએ એક સ્પેનિશ અખબારને જણાવ્યું હતું કે, લોકડાઉન લાંબા સમય સુધી ચાલવાની મંજૂરી આપી શકાતી નથી. અમે પ્રતિબંધોને હળવા કરવાના માર્ગો શોધી રહ્યા છીએ. પરંતુ તે ધીમે-ધીમે દૂર કરવામાં આવશે. ત્યાર બાદ આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પર્ન્ઝાએ જણાવ્યું હતું કે, તમામ પ્રતિબંધો ઈસ્ટર એટલે કે 12 એપ્રિલ સુધી લંબાવી શકાય છે. ઈટલીમાં લોકડાઉન શુક્રવારે સમાપ્ત થાય છે.



કોરોના વાયરસથી દુનિયામાં અત્યાર સુધીમાં 37000થી પણ વધારે લોકોના મોત થયાં છે. જ્યારે સાડા સાત લાખ લોકો કોરોનાથી પીડિત છે. ઈટલીમાં સોમવારે કોરોના વાયરસથી 812 લોકોનાં મોત થયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે.



ઈટલીનાં વહીવટીતંત્રને હવે આશા છે કે, કોરોના સંક્રમણ દરમાં હવે ઘટાડો આવશે. નવા આંકડા દર્શાવે છે કે, હવે કોરોનાના સંક્રમણ દરમાં ઘટાડો આવી રહ્યો છે. ઈટલીમાં હવે રોજનું કોરોના સંક્રમણ ઘટીને 4.1 ટકા પર આવી ગયું છે.