નવી દિલ્હીઃ કોરોના વાયરસને રોકવા માટે કતાર સરકારે ભારત સહિત 13 દેશમાંથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ઇરાન, ફિલિપાઇન્સ, ચીન, ઇટાલી, દક્ષિણ કોરિયા વગેરે સામેલ છે. કતાર સરકારે આ દેશમાં આવતા તમામ લોકોના વીઝા, રેસિડેન્સ અથવા વર્ક પરમિટ અને ટેમ્પરેરી વિઝિટર સુવિધાઓ રદ કરી દીધી છે.


કતાર સ્થિત ભારતીય દૂતાવાસના કહેવા અનુસાર, આ તમામ પ્રતિબંધ માટે કોઇ સમયસીમા નક્કી કરાઇ નથી. પરંતુ કતાર સરકારે કહ્યું છે કે આ અસ્થાયી પગલું છે. સ્થિતિ જોયા બાદ તેમાં આગળની કાર્યવાહી કરાશે.

કતારમાંથી બહાર જવા પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. કતારે આ નવા પ્રતિબંધો અપ્રવાસી કારીગરોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા લગાવ્યા છે. કતારમાં છેલ્લા નવ દિવસમાં એક ડઝનથી વધુ કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે કતારમાં વિદેશી લોકોની સૌથી મોટી વસ્તી ભારતીયોની છે. સાડા સાત લાખથી વધુ ભારતીય કતારના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે.