નવી દિલ્હીઃ દેશમાં લૉડકાઉન હોવા છતાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસો નોંધાતા હડકંપ મચી ગયો છે, એટલુ જ નહીં છેલ્લા 24 કલાકમાં 140 લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને 3303 પહોંચી ગયો છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં કોરોનાનો મૃત્યુદર ખુબ ઓછો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં આ વાયરસના કારણે મૃત્યુદર અન્ય દેશોની સરખામણીમાં ખુબ ઓછો છે, જ્યારે સંક્રમણના કેસો એક લાખ સુધી પહોંચવામાં ખુબ સમય લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ લાખ વસ્તીએ કોરોનાની કેસોની સંખ્યા 7.1 છે, જ્યારે વૈશ્વિક આંકડા પ્રતિ એક લાખની વસ્તીએ 60 કેસોનો છે.

મંત્રાલયે કહ્યુ કે, ભારતમાં અત્યાર સુધી પ્રતિ એક લાખ વસ્તી પર કૉવિડ-19થી મોતના લગભગ 0.2 કેસો સામે આવ્યા છે. જ્યારે દુનિયાના આંકડા 4.1 મૃત્યુ પ્રતિ લાખના છે. અધિકારીઓએ એ પણ કહ્યું કે ભારતમાં સંક્રમણના કેસો 64 દિવસમાં 100થી વધુ એક લાખ સુધી પહોંચી ચૂક્યા છે, જે અમેરિકા અને સ્પેન જેવા દેશોની સરખામણીમાં બેગણાથી વધુ છે.

મંત્રાલયે કહ્યું કે, જે દેશોમાં કોરોના વાયરસ સંક્રમણથી મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે, તેમાં અમેરિકામાં 87,180 લોકોના મોત થઇ ચૂક્યા છે, એટલે કે એક લાખ વસ્તી પર આ દર 26.6નો છે. બ્રિટનમાં 34,636 લોકોના મોત થઇ ચૂક્યા છે, અને આ રીતે સંક્રમણથી મૃત્યુનો દર લગભગ 52.1 લોક પ્રતિ એક લાખ છે.

ઇટાલીમાં 31,908 લોકોના મોતની સાથે આ દર લગભગ 52.8 મૃત્યુ પ્રતિ લાખ જનસંખ્યા, ફ્રાન્સમાં મૃત્યુના કુલ 28,059 કેસોની સાથે 41.9 મોત પ્રતિ લાખ, વળી સ્પેનમાં સંક્રમણથી 27,650 લોકોના મોતની સાથે આ દર લગભગ 59.2 પ્રતિ લાખ છે.