લંડનઃ  યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિયંટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો થવા સાથે કુલ 50,824 કેસો નોંધાયા હોવાનું ઓરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધી નથી તેથી આ ભારે ચેપી ડેલ્ટા વેરિયંટ સામે કોરોનાની રસીઓ અસરકારક હોવાનો સંકેત મળે છે. જોકે કેસ વધવા છતાં તંત્ર દ્વારા હાલ લોકડાઉન લગાવવાની કોઈ યોજના ન હોવાનું જણાવ્યું છે.


ડેલ્ટા બી1.617.2 વેરિયંટના 50,824 કેસમાંથી 42 કેસ ડેલ્ટા એવાય.1 અને મ્યુટેશન કે417એનના જણાયા છે. નવા વેરિયંટના આ 42 કેસો રસી પ્રતિકારક હોવાનો ડર છે.  કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે યુએઇ દ્વારા તેના નાગરિકો પર ભારત-પાકિસ્તાન સહિત 14 દેશોમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.


યુએઇના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુએઇના નાગરિકો પર ભારત, પાકિસ્તાન, બંગલાદેશ,નેપાળ, શ્રી લંકા, વિયેટનામ, નામિબિયા, ઝાંબિયા, કોંગો, યુગાન્ડા, સિયેરા લ્યોન, લાઇબેરિયા, દક્ષિણ આફ્રિકા અને નાઇજિરિયાનો પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, રાજદ્વારી પ્રવાસીઓને અને અન્ય મહાનુભાવોને આ દેશોનો પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. દરમ્યાન ઓસ્ટ્રેલિયાએ પણ કમર્શિયલ પેસેન્જરોના આગમન પર 6000ની છૂટ હતી તેને ઘટાડીને 3000 કરી નાંખી છે. 14 જુલાઇ સુધીમાં આ ભારણ ઘટાડવામાં આવશે જેથી હોટેલ ક્વોરન્ટાઇન પરનું દબાણ ઘટે તેમ વડાપ્રધાન સ્કોટ મોરિસને પ્રાદેશિક નેતાઓની બેઠક બાદ જણાવ્યું હતું.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં સતત છઠ્ઠા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ આવ્યા હતા અને 52,477 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 738 સંક્રમિતોના મોત થયા હતા.  દેશમાં સતત 51મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 34 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.