Colombo : શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં માત્ર એક જ સીટ ધરાવતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. દેશમાં મોટા આર્થિક સંકટ વચ્ચે ગુરુવારે સમાચારમાં આવો દાવો કરવામાં આવ્યો હતો.


73 વર્ષીય યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP)ના નેતાએ બુધવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે વાત કરી હતી અને ગુરુવારે તેઓ ફરીથી મળવાની શક્યતા છે. 'કોલંબો પેજ' અખબારે આ સમાચાર પ્રકાશિત કર્યા છે.


શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જો કે બે મહિના પછી સિરીસેનાએ તેમને ફરીથી વડાપ્રધાન બનાવ્યા.


રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા (SJB) અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેની બહુમતી સાબિત કરવા માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું છે, એમ પેપરમાં લખ્યું છે.


સમાચાર અનુસાર, વિક્રમસિંઘે ગુરુવાર અથવા શુક્રવારે નવા વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. UNPના પ્રમુખ વી અબેવર્દેનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિક્રમસિંઘે નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા પછી તેઓ બહુમતી પ્રાપ્ત કરશે.


દેશની સૌથી જૂની પાર્ટી, UNP 2020માં છેલ્લી સંસદીય ચૂંટણીમાં માત્ર એક જ સીટ જીતી શકી હતી.



પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનનો બંગલો સળગાવી દીધો 
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમનું રાજીનામું સુપરત કર્યાના કલાકો પછી શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં કુરુનેગાલામાં તેમના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું, સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો હતો.


દેશ હાલમાં વધતી જતી નાગરિક અશાંતિ અને વિનાશક આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યો છે.


સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ  મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી.


 


 


રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રને તેમના ટેલિવિઝન સંદેશમાં પદ છોડવાનો ઇનકાર કર્યો હતો પરંતુ નવા વડાપ્રધાન અને આ અઠવાડિયે યુવા કેબિનેટની રચનાનું વચન આપ્યું હતું.