શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં SLPPના ઉમેદવાર રાજપક્ષે મેળવી જીત, મોદીએ પાઠવ્યા અભિનંદન
abpasmita.in | 17 Nov 2019 12:19 PM (IST)
શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે લગભગ 1.6 કરોડ મતદાતાઓમાંથી લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કોલંબોઃ શ્રીલંકા પોડુજાના પેરમુના (એસએલપીપી)ના ઉમેદવાદ ગોતાબેયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેમને 53-54 ટકા મત મળ્યા છે. જ્યારે ન્યૂ ડેમોક્રેટિક ફંટના ઉમેદવાર સાજિત પ્રેમદાસા બીજા સ્થાન પર રહ્યા હતા. નોંધનીય છે કે શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયુ હતું. શ્રીલંકામાં કુલ 25 જિલ્લા છે જે નવ પ્રાન્તમાં છે. શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે લગભગ 1.6 કરોડ મતદાતાઓમાંથી લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસએલપીપીના ઉમેદવાદ ગોતાબેયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરવા બદલ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. તમિલ બહુમતિ ધરાવતા વિસ્તારમાં મતદાનની ટકાવારી લગભગ 70 ટકા રહી હતી. જ્યારે જાફના જિલ્લામાં 66 ટકા મતદાન નોંધાયુ હતું. પૂર્વમાં યુદ્ધનો ભોગ બની ચૂકા જિલ્લા કિલિનોચ્ચીમાં 73 ટકા, મુલ્લાતિવુમાં 76 ટકા, વાવુનિયામાં 75 ટકા અને મન્નારમાં 71 ટકા મતદાન થયું હતુ. આ ટકાવારી 2015માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થયેલા મતદાન કરતા થોડી ઓછી છે. શ્રીલંકાના સતાધારી પક્ષના ઉમેદવાર સાજિત પ્રેમદાસાએ પોતાની હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, લોકોના નિર્ણયનું સન્માન કરવું જોઇએ અને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે પસંદ થયેલા ગોટબાયા રાજપક્ષેને અભિનંદન આપું છું. રાષ્ટ્રપતિ પદ માટે 32 ઉમેદવારો મેદાનમાં હતા.