પાકિસ્તાનની સંસદે શહબાઝ શરીફને પોતાના 23મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા છે. નેશનલ એસેમ્બલીમાં શહબાઝ શરીફના પક્ષમાં 174 વોટ પડ્યા હતા. સ્પીકર અયાઝ સાદિકે નવા પ્રધાનમંત્રી પસંદ કર્યાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ શાહબાઝ શરીફે સંસદમાં સંબોધન કર્યું હતું.


પહેલીવાર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગઃ
શાહબાઝે કહ્યું કે, "પાકિસ્તાનમાં પહેલી વખત બન્યું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું હોય અને પ્રધાનમંત્રીએ ખુરશી છોડવી પડી હોય. પાકિસ્તાન સુપ્રિમ કોર્ટને હું ધન્યવાદ આપું છું. તેમણે કાયદાને યથાવત રાખ્યો છે. સુપ્રિમ કોર્ટે કડક સંદેશ આપ્યો છે. એક અઠવાડિયા સુધી ચાલેલું રાજકીય નાટક ખત્મ થયુ છે." શહબાઝ શરીફે એ પણ કહ્યું કે, "આજે સર્વશક્તિમાને પાકિસ્તાન અને દેશના 22 કરોડ લોકોને બચાવ્યા છે. આ પહેલી વાર બન્યુ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ સફળતા પૂર્વક પસાર થયો હોય. આ દેશના લોકો આ દિવસની ઉજવણી કરશે."


તો રાજીનામું આપીશ...
આ બધાની વચ્ચે ઈમરાન ખાનના અમેરિકા વાળા નિવેદન પર નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીપે કહ્યું કે, "જો આ મામલે અમારી થોડી પણ ભાગીદારી સાબિત થશે તો હું ખુદ રાજીનામું આપીને ઘરે ચાલ્યો જોઈશ." વધુમાં શહબાઝ શરીફે ઈમરાન ખાનના આરોપોને ફગાવતાં કહ્યું કે, "અહીંયા કોઈ ગદ્દાર નથી. વિપક્ષ ઈમરાન ખાનના મનઘડંત ધમકી પત્ર વિવાદના કેટલાક દિવસો પહેલાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યો હતો. ઈમરાન કહેતા હતા કે આ પત્ર તેમને 7 માર્ચે મળ્યો હતો. પરંતુ અમારો નિર્ણય તે પહેલાં લેવાઈ ગયો હતો. એટલે ઈમરાન ખાન સરકારે જે દાવા કર્યા હતા તે બધા ખોટા હતા."