નવી દિલ્હીઃ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન રઘવાયું થું છે. તેણે યૂએનથી લઈને મુસ્લિમ દેશોના દરવાજા ખટખટાવ્યા પરંતુ બધી જગ્યાએ નિરાશા જ હાથ લાગી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોમવારે સ્વીકાર્યું કે કાશ્મીરનો મામલો દ્વિપક્ષીય છે અને તેમણે પીએમ મોદીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફ્રાન્સમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પોતાની જનતાને સંબોધિત કરતાં ખુદને નબળા ગણાવતા કહ્યું કે, આજે તેમનો સાથ કોઈ નથી આપી રહ્યું. ઇમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી છે અને કહ્યું કે, આવા યુદ્ધનું કોઈ પરિણામ નથી આવતું અને વિશ્વ નષ્ટ થઈ જશે. ઇમરાન ખાને કહ્યું કે, અમે કાશ્મીર માટે કોઈપણ હદ સુધી જઈશું.


ઇમરાને કહ્યું હતું કે જો યુદ્ધ થશે તો બંને પાસે ન્યૂક્લિયર હથિયાર છે, આ જંગમાં કોઈ હારશે કે જીતશે નહીં પણ નુકસાન બંને તરફ થશે. નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ઇતિહાસની મોટી ભૂલ કરી છે. જ્યારથી સરકારમાં આવ્યો છુ ત્યારથી મેં ફક્ત શાંતિના પ્રયત્નોને આગળ વધાર્યા હતા. જોકે ભારત તરફથી હંમેશા આ પ્રયત્નોનો ભંગ કરવામાં આવ્યો છે. ભારતે પહેલા પાકિસ્તાનને FATFમાંથી બ્લેકલિસ્ટ કરાવવાનો પ્રયત્ન કર્યો અને હવે કાશ્મીરના મુદ્દા ઉપર પાકિસ્તાનને બદનામ કરી રહ્યું છે.

ઇમરાન ખાને આરએસએસ પર આરોપ લગાવતાં કહ્યું કે, બીજેપીની બધી નીતિ પાછળ આ જ સંગઠનનો હાથ છે. RSS સંગઠન ફક્ત હિન્દુઓને સૌથી શ્રેષ્ઠ માને છે જ્યારે બાકી બધા તેની નજરમાં સેકન્ડ ક્લાસ સિટીઝન છે. પાછલી ભારતીય સરકારોએ પણ RSSની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.