લાહોરઃ ભારત અને પાકિસ્તાનની સરહદ પર છેલ્લા દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય ન ગણાવતા ટ્વિટ કર્યું હતું. ઇમરાન ખાને ટ્વિટ કરી જણાવ્યું કે, હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય નથી. ઇમરાન ખાને લખ્યું કે, નોબેલ શાંતિ પુરસ્કાર માટે એ વ્યક્તિ યોગ્ય હશે જે કાશ્મીરી લોકોની ઇચ્છા અનુસાર, કાશ્મીર વિવાદને હલ કરશે અને એશિયામાં શાંતિ અને માનવ વિકાસનો માર્ગ બનાવશે.


નોંધનીય છે કે ભારત સાથે તણાવ દૂર કરવા માટે વડાપ્રધાન ઇમરાન ખાનના પ્રયાસોને લઇને નોબેલ શાંતિ પુરસ્કાર માટે તેમનું સમર્થન કરવા માટે પાકિસ્તાની સંસદમાં શનિવારે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ નીચલા નેશનલ એસેમ્બલીના સચિવાલયમાં આ પ્રસ્તાવ સોપ્યો હતો.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડરને ભારતને સોંપવાના નિર્ણયથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ દૂર થયો છે. પ્રસ્તાવના મતે ખાને તણાવની હાલની સ્થિતિમાં જવાબદારીપૂર્વક વર્તન કર્યું અને તે નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે. તેમણે નોબેલ પુરસ્કારથી સન્માનિત 59 હસ્તીઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ દૂર કરવાની અપીલ કરી છે. આ હસ્તીઓમાં ભારતના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ સામેલ છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે બાળકો ક્યારેય યુદ્ધમાં સામેલ થતા નથી પરંતુ યુદ્ધથી તેઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે.