India To Face Tsunami : વિકાસની રફ્તાર પર સવાર ભારતને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની પણ ચિંતા વધી શકે છે. અમેરિકન ઓન્કોલોજિસ્ટ ડૉ. જેમ અબ્રાહમ દાવો કરે છે કે આવનારા સમયમાં ભારતમાં કેન્સર જેવી ગંભીર બીમારીની સુનામી આવશે. ઓન્કોલોજિસ્ટ્સે તેની પાછળ કેટલાક મોટા કારણો આપ્યા છે જેમ કે વૈશ્વિકીકરણ, વધતી જતી અર્થવ્યવસ્થા, વૃદ્ધાવસ્થા અને જીવનશૈલીમાં ફેરફાર.


ડૉ.અબ્રાહમના કહેવા પ્રમાણે જે રીતે ગંભીર બીમારીઓ ભારત તરફ આગળ વધી રહી છે તેને રોકવા માટે મેડિકલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે.


ઓહિયો યુએસએમાં ક્લેવલેન્ડ ક્લિનિક ખાતે હેમેટોલોજી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા એવા ડૉ. જેમ અબ્રાહમે આ સદીમાં કેન્સરની સંભાળને ફરીથી આકાર આપવા માટેના છ મહત્વપૂર્ણ વલણો યાદી જણાવી છે. આ પૈકી પ્રારંભિક ત્રણ ટ્રેન્ડમાં કેન્સર નિવારણ માટેની રસી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ, ડેટા ડિજિટલ ટેક્નોલોજીને પ્રોત્સાહન અને લિક્વિડ બાયોપ્સીનો સમાવેશ થાય છે.


કેન્સર જેવી બીમારીઓ માટે ભારત સામે એક મોટો પડકાર


અન્ય ત્રણ ટ્રેન્ડ્સમાં જીનોમિક પ્રોફાઇલિંગ, જનીન સંપાદન તકનીકનો વિકાસ અને ઇમ્યુનોથેરાપી અને CAR T સેલ થેરાપીની નેક્સ્ટ જનરેશનનો સમાવેશ થાય છે. ડો.અબ્રાહમે કહ્યું હતું કે, ભારત માટે સૌથી મોટો પડકાર લોકોને ટેક્નોલોજી સુલભ બનાવવાનો છે અને કેન્સર જેવી બીમારીઓથી બચવા માટે તેને પોષણક્ષમ બનાવવાનો છે.


ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી (ગ્લોબોકન) અનુસાર, વર્ષ 2040 સુધીમાં વિશ્વમાં કેન્સર હાહાકાર મચાવશે. વર્ષ 2020ની સરખામણીએ 2040 સુધીમાં વિશ્વમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 47 ટકાનો વધારો થશે, જે દર વર્ષે બે કરોડ એંસી લાખ સુધી પહોંચશે. વર્ષ 2020માં કેન્સરના લગભગ એક કરોડ 80 લાખ કેસ નોંધાયા હતા અને વિશ્વમાં લગભગ એક કરોડ લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા.


સ્ત્રીઓમાં સ્તન કેન્સર હવે ફેફસાના કેન્સરને પાછળ છોડીને સૌથી મોખરે આવી ગયું છે. જો કે, અત્યાર સુધીમાં મોટાભાગના મૃત્યુ ફેફસાના કેન્સરને કારણે થઈ રહ્યા છે.


કેન્સરની રસી ભવિષ્યમાં અસરકારક રહેશે


ડો. અબ્રાહમનું માનવું છે કે, કેન્સરની સફળ રસી આ રોગના વિવિધ સ્વરૂપોને હરાવવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ કેન્સર માટે રસી બનાવવામાં આવી છે, પરંતુ તે તમામ હજુ પણ ટ્રાયલ પર છે, પરંતુ પ્રારંભિક પરિણામો તદ્દન હકારાત્મક છે. તેમણે કહ્યું હતું કે, હાલમાં ક્લીવલેન્ડ ક્લિનિકની ટીમ બ્રેસ્ટ કેન્સરની રસીનું પણ ટ્રાયલ કરી રહી છે.


સાથે જ ડૉ.અબ્રાહમે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ માનવી કરતાં વધુ સારો છે. તેમણે કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બાયોપ્સી દરમિયાન સામાન્ય અને અસામાન્ય ભિન્નતાને વધુ સારી રીતે શોધી શકાય છે, જ્યારે મનુષ્ય આ કામ પોતાની આંખોથી કરી શકતો નથી.