નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સથી યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ) જવા રવાના થયા છે. વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર છોડવા માટે ફ્રાન્સના અનેક અધિકારી સાથે આવ્યા હતા. વડાપ્રધાન મોદી ચાર્લ્સ ડે ગોલ એરપોર્ટ પેરિસથી યુએઇ માટે રવાના થયા હતા. યુએઇના પ્રવાસ બાદ મોદી પેરિસમાં યોજાનારી જી-7 સમિટમાં ભાગ લેવા પાછા ફ્રાન્સ જશે.


વડાપ્રધાન મોદી યુએઇના પ્રવાસ દરમિયાન અબુ ધાબીના યુવરાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન શેખ મોહમ્મદ સાથે તે દ્ધિપક્ષીય, ક્ષેત્રીય અને પરસ્પર હિતોના ઇન્ટરનેશનલ મામલા પર ચર્ચા કરશે. યુએઇમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીએ ટ્વિટ કર્યુ હતું કે, ભારતીય સમુદાય અને યુએઇ સરકાર મોદીના પ્રવાસને લઇને ખૂબ ઉત્સુક છે. આશા રાખવામાં આવી રહ્યું છે કે આનાથી બંન્ને દેશો વચ્ચે દ્ધિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે.


વડાપ્રધાન મોદીને યુએઇનું સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ અપાશે. ગયા એપ્રિલ મહિનામાં યુએઇએ બંન્ને દેશો વચ્ચે દ્ધિપક્ષીય રણનીતિક સંબંધોને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડ યુએઇના સંસ્થાપક શેખ ઝાયદ બિન સુલતાન અલ નાહયાનના નામ પર અપાય છે.