Satellite city in Vladivostok Russia : રશિયા અને ભારત વચ્ચે મિત્રતા સતત વધી રહી છે. યુક્રેન યુદ્ધને કારણે ભારત પર રશિયા સાથે મિત્રતા તોડવા માટે ઘણું દબાણ હતું. આમ છતાં ભારત તેના ઐતિહાસિક સંબંધો છોડવા તૈયાર નથી. આજે ભારત રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે તેલ ખરીદી રહ્યું છે. હથિયારોની ખરીદીમાં ઘટાડો થયો છે, પરંતુ તે હજુ પણ અસરકારક સ્તરે છે. યુક્રેન યુદ્ધ છતાં S-400 મિસાઈલ સિસ્ટમની ત્રણ રેજિમેન્ટ ભારતને આપવામાં આવી છે. બંને દેશોમાં કામોવ KA-226 હેલિકોપ્ટરની ડીલ પર વાટાઘાટો ચાલી રહી છે. આ ઉપરાંત ભારત હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સાગર થઈને રશિયાના વ્લાદિવોસ્તોક સુધી એક નવો ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવવા પર કામ કરી રહ્યું છે. એટલું જ નહીં, ભારત વ્લાદિવોસ્તોકમાં સેટેલાઇટ સિટી સ્થાપવાની પણ યોજના બનાવી રહ્યું છે.


ભારત વ્લાદિવોસ્તોકમાં સેટેલાઇટ સિટી બનાવશે


ભારતે રશિયન દૂર પૂર્વમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વ્લાદિવોસ્તોક નજીક સેટેલાઇટ સિટી બનાવવા માટે રસ દર્શાવ્યો છે. PM મોદીની ફાર ઈસ્ટ પોલિસીના ભાગરૂપે ભારત આ શહેરમાં પોર્ટ, રોડ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંગે છે. રશિયા પણ વ્લાદિવોસ્તોકમાં ભારતની હાજરીને લઈ ઉત્સુક છે. ચીન રશિયાના વ્લાદિવોસ્તોક પર પણ દાવો કરે છે. ફોર પૂર્વ અને આર્કટિકના વિકાસ માટેના રશિયન મંત્રી એલેક્સી ચેકુનકોવના જણાવ્યા અનુસાર, મોસ્કો અને નવી દિલ્હી ઉત્તરીય સમુદ્ર માર્ગ (NSR) સાથે ટ્રાન્સ-આર્કટિક કન્ટેનર શિપિંગ લાઇન અને પ્રોસેસિંગ સુવિધાઓ શરૂ કરવાની સંભાવના પર પણ ચર્ચા કરી રહ્યા છે.


રશિયાના મંત્રીની ભારત મુલાકાત અંગે કરવામાં આવેલી ચર્ચા 


ચેકુનકોવે માર્ચમાં ભારતની મુલાકાત દરમિયાન આ યોજનાઓની ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓ ભારતીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળ્યા હતા. બંને મંત્રીઓએ ભારતથી યુરોપ સુધી કાર્ગો પરિવહન માટે વૈકલ્પિક માર્ગ અંગે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારત અને રશિયાના બંદરોનો ઉપયોગ કરીને ઈસ્ટર્ન વોટરવે દ્વારા વેપાર કરવાની વાત થઈ હતી. ભારતથી વ્લાદિવોસ્તોક સુધી કન્ટેનર મોકલવાનો ખર્ચ મોસ્કો કરતા 30% ઓછો છે.


ભારત-રશિયા વેપારમાં આવશે તેજી 


સુએઝ અથવા પનામા નહેર દ્વારા વેપારની તુલનામાં આર્કટિક માર્ગ ઘણો સમય બચાવી શકે છે. તે દક્ષિણ એશિયાને સીધો યુરોપ સાથે જોડી શકે છે. સોવિયેત કાળમાં તેનો ઉપયોગ મુખ્યત્વે આર્ક્ટિકમાં અલગ-અલગ વસાહતોમાં માલસામાન પહોંચાડવા માટે થતો હતો. ગયા વર્ષે રશિયાએ ભારતને તેની ઊર્જાની ખરીદી પર G-7 કિંમત મર્યાદા વચ્ચે રશિયન તેલ માટે વીમા તરીકે મોટી ક્ષમતાવાળા જહાજો બનાવવા અને ભાડે આપવા ઓફર કરી હતી. 2021માં ભારત અને રશિયાએ નાગરિક જહાજ નિર્માણના ક્ષેત્રમાં સહયોગ વધારવાનું વચન આપ્યું હતું.